ભાજપે કાપી હતી 120 સાંસદોની ટિકિટ, કેટલા નવા ચહેરો પહોંચ્યા સંસદમાં?
ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં પોતાના 120 વર્તમાન સાંસદોની ટિકિટ કાપી હતી. ટિકિટ કાપવાના નિર્ણય પાછળનું મુખ્ય કારણ પીએમ મોદીની નીતિ હતી, જેને અમિત શાહે કડકાઈથી અમલમાં મૂકી.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં પોતાના 120 વર્તમાન સાંસદોની ટિકિટ કાપી હતી. ટિકિટ કાપવાના નિર્ણય પાછળનું મુખ્ય કારણ પીએમ મોદીની નીતિ હતી, જેને અમિત શાહે કડકાઈથી અમલમાં મૂકી. સાંસદોની ટિકિટ કાપવાના ઘણાં કારણ હતા. જ્યારે ભાજપ આ નિર્ણય લાગુ કરી રહી હતી ત્યારે ઘણા સ્થળે વિરોધનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ હાઈકમાન્ડે પોતાનો એજન્ડા જાળવી રાખ્યો.
આ પણ વાંચો: આ ત્રણ આંકડામાં છુપાયેલું છે મોદીની પ્રચંડ જીતનું રહસ્ય
ઘણા વરિષ્ઠ સાંસોદની ટિકિટ કપાઈ હતી
આ વખતે ભાજપે 75ની ઉંમર પાર કરી ચૂકેલા સાંસદોને ટિકિટ નહીં આપવાની નીતિ અપનાવી હતી. આ મર્યાદામાં પક્ષના એ સંસ્થાપક નેતાઓ પણ હતા જેમણે પક્ષને તૈયાર કર્યો છે. આ સાંસદોમાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતા સામેલ હતા. આ ઉપરાંત લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પૂર્વ લોકસભા ઉપાધ્યક્ષ કરિયા મુંડા, શાંતા કુમાર, કલરાજ મિશ્ર, હુકુમદેવ નારાયણ યાદવ, ભગતસિંહ કોશિયારી, બીસી ખંડૂરી અને રામટલ ચૌધરી જેવા નેતાઓ સામેલ હતા. આ ઉપરાંત કેટલાક સાંસદોએ આરોગ્ય અને અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો. જેમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, કેન્દ્રીય પ્રધાન ઉમાભારતી અને રાજસમંદના સાંસદ હરિઓમ ઠાકુર સામેલ છે.
એન્ટી ઈન્કમબન્સી સૌથી મોટું ફેક્ટર
ભાજપે સાંસદોની ટિકટિ કાપવા માટે જે સૌથી મોટો મુદ્દો લીધો હતો તે હતું પર્ફોમન્સ. પક્ષ દ્વારા કેટલાક આંતરિક સર્વે કરાવાયા હતા, જેમાં તેમણે પોતાન સંખ્યાબંધ સાંસદો વિરુદ્ધ જબરજસ્ત એન્ટી ઈન્કમબન્સીની માહિતી મળી હતી. જેમાં યુપીના બાંદાથી સાંસદ ભૈરો પ્રસાદ મિશ્ર, અલાહબાદના સાંસદ શ્યામ પ્રસાદ ગુપ્તા, ઝારખંડના કોડરમાથી રવિન્દ્ર રાય, આગ્રાના સાંસદ અને એસસી કમિશનના ચેરમેન રમાશંકર કઠેરિયા મિશ્રિખની સાંસદ અંજૂબાલા, સંભલના સત્યપાલ સૈન, શાહજહાંપુરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા રાજ અને ફતેપુર સિકરીના સાંસદ બાબૂલાલ ચૌધરીનું નામ સામેલ છે. આ રીતે જ રાજસ્થાનના સાંસદ કર્નલ સોનારામ ચૌધરીની ટિકિટ પણ પર્ફોમન્સના આધારે જ કપાઈ હતી.
ગઠબંધનને કારણે પણ કપાઈ ટિકિટ
બિહારમાં આ વખતે ભાજપે જેડીયુ સાથે ગઠબંધન કર્યું હતું. ગત વર્ષે બિહારમાં ભાજપે 22 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ આ વખતે ભાજપે 5 બેઠકો સહયોગી પક્ષ જેડીયુ માટે છોડવી પડી, જેને કારણે અહીં પણ કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ. જેમાં સીવાનથી ઓમપ્રકાશ યાદવ, ઝંઝારપુરથી બીરેન્દ્રકુમાર ચૌધરી, ગૌપાલગંજથી જનક રામ, વાલ્મિકી નગરથી સતીષચંદ્ર દુબે અને ગયાથી હરિમાંઝીનું નામ સામેલ છે.
પહેલા પણ પ્રયોગ રહ્યો હતો સફળ
ભાજપે એન્ટી ઈન્કમબન્સીને નિષ્ફળ બનાવવા માટે ટિકિટ કાપવાની આ વ્યૂહ રચના 2017માં ગુજરાતની વિધાનસબા ચૂંટણીમાં અપનાવી હતી, જેમાં ભાજપને સફળતા પણ મળી હતી. પછી ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપે આ રણનીતિ અપનાવી. આ રાજ્યોમાં ભાજપને 20થી 30 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી હતી, અહીં પણ ભાજપને સકારાત્મક પરિણામ મળ્યા હતા. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપે 120 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી. મોદી અને શાહની આ રણનીતિ ભાજપ માટે કારગર સાબિત થઈ. કારણ કે જ્યાં જ્યાં પાર્ટીએ નવા ચહેરાને તક આપી, તેમાંથી 100 સાંસદો જીત્યા છે.