UPમાંથી 40 બેઠકો જીતવા ભાજપની રણનીતિ તૈયાર
યુપી ભાજપના ઇન્ચાર્જ અમિત શાહે આ અંગેની રણનીતિ ઘડી છે. ભાજપના સુત્રોનું કહેવુ છે કે અમિત શાહે તાજેતરની પોતાની મુલાકાત દરમિયાન પક્ષના નેતાઓ, કાર્યકરો અને હોદેદારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમને ગત ચૂંટણીમાં 50,000થી ઓછા મતોથી ભાજપે હારેલી તમામ બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ ઉપરાંત અમિત શાહ 6 જુલાઇના રોજ અયોધ્યા જઇ રહ્યા છે.
યુપીમાં આવી 11 બેઠકો છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 10 બેઠકો 17.50 ટકાના વોટશેરથી જીતી હતી. કોંગ્રેસ પક્ષનો વોટશેર 18.25 ટકા જેટલો હતો પરંતુ તેણે 21 બેઠકો મેળવી હતી. ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે શિડયુલ કાસ્ટ માટેની 17 અનામત બેઠકો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભાજપે 2009માં આમાંથી માત્ર બે જ બેઠકો મેળવી હતી. અમિત શાહે પક્ષના નેતાઓને જણાવ્યું છે કે થોડો પ્રયાસ કરીને દલિતોને આકર્ષવા માટે અસરકારક વ્યુહરચના અપનાવાય તો આ અનામત બેઠકો જીતી શકાય તેમ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહે પક્ષની નેતાગીરીને જાણાવ્યું છે કે બહુમતી હિન્દુ વોટ બેંકને ભરોસો આપવામાં આવે અને અયોધ્યામાં રામ મંદિર અને હિન્દુત્સવના લગતા બીજા મુદ્દાઓની વાત ગળે ઉતારવામાં આવે તો પક્ષ વધુ બેઠકો જીતી શકે તેમ છે.
નિષ્ણાતોનું માનવું છે કે અનામત 17 બેઠકોમાંથી જો ભાજપ 15 બેઠકો જીતી શકે તો તે સરળતાથી 40 બેઠકોનો ટાર્ગેટ મેળવી શકે તેમ છે. તાજેતરમાં મોદીએ દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી અને શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને મળીને રણનીતિને અંતિમ ઓપ આપવાનું શરૂ કર્યુ છે. મોદીએ પહેલા સંગઠનાત્મક ચુસ્તી ઉપર ભાર મુકયો છે. ભાજપે 80 બેઠકો પર ખાનગી સર્વે કરીને 60 બેઠકો માટે સંભવિત ઉમેદવારોની પસંદગીની રૂપરેખા પણ શરૂ કરી છે.
અમિત શાહ અને તેની ટીમે તૈયાર કરેલા રિપોર્ટ અનુસાર ગોરખપુર સાંસદ યોગી આદિત્યનાથ અને આઝમગઢના બાહુબલી સાંસદ રમાકાંત યાદવને બાદ કરતા તમામ સાંસદો બેઠકો બદલવા માંગે છે અથવા તો ટિકિટ કપાશે તેવુ માની રહ્યા છે. ઉમા ભારતી યુપીથી ચૂંટણી કદાચ નહિ લડે, તેઓ કદાચ ઉત્તરાંચલ જશે. રાજનાથસિંહ, મુરલી મનોહર જોશી, મેનકા ગાંધી, વરૂણ ગાંધી પોતાની બેઠકો બદલવા માંગે છે. લખનૌથી સાંસદ લાલજી ટંડનની ટિકિટ કપાશે તે નક્કી છે.
પક્ષના સુત્રોના જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી ફૈઝાબાદ (અયોધ્યા), રાજનાથ લખનૌ, ડો.જોશી કાનપુર, વરૂણ ગાંધી સુલતાનપુર, મેનકા ગાંધી પીલીભીત, અડવાણી વારાણસીથી ચૂંટણી લડે તેવી શકયતા છે. અમિત શાહ સાથે જોડાયેલા સુત્રોનું કહેવુ છે કે, યુપી વગર દિલ્હીની ગાદી મળે તેમ નથી તેથી પક્ષના કેટલાક નેતાઓને બાદ કરતા 63 વર્ષથી ઉપરના નેતાઓને કદાચ ટિકિટ આપવામાં નહિ આવે.