ભાજપે મહાઠગ સુકેશ ચંદ્રશેખરને પોતાનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવો જોઈએ, કેજરીવાલનો બીજેપી પર હુમલો
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે મહાઠગ સુકેશ ચંદ્રશેખર બીજેપીના ઈશારે કામ કરી રહ્યો છે.
Delhi CM Arvind Kejriwal on BJP: ગુજરાત વિધાનસભા અને દિલ્લીની એમસીડી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી તેમજ ભાજપ સામ-સામે છે. રાજકીય પક્ષો એકબીજા પર પ્રહાર કરવાનો કોઈ મોકો ચૂકવા નથી માંગતા. હાલમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે મહાઠગ સુકેશ ચંદ્રશેખર બીજેપીના ઈશારે કામ કરી રહ્યો છે. ભાજપે મહાઠગ સુકેશ ચંદ્રશેખરને પોતાની પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવો જોઈએ. કેજરીવાલે દિલ્લીના કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત ટાઉનહોલ કાર્યક્રમમાં દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પર આ વાત કહી.
'ભાજપે આ ગુંડાને પોતાનો સ્ટાર પ્રચારક બનાવવો જોઈએ'
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા દિલ્લીના ઉપરાજ્યપાલને મોકલેલા પત્ર વિશે પૂછવામાં આવ્યુ ત્યારે કેજરીવાલે કહ્યુ કે, 'દિલ્લી MCDમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનુ શાસન છે. આ ઉપરાંત તે 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે. જો તમારે પૂછવુ હોય કે આટલા વર્ષોમાં તેમણે શું કર્યુ, તો ભાજપ પાસે જવાબ નહીં હોય, એટલા માટે સુકેશ ચંદ્રશેખરનો લવલેટર લઈના આવ્યા છે.મહાઠગ સુકેશ ચંદ્રશેખર ભાજપની ધૂન પર નાચી રહ્યો છે. ભાજપે આ ગુંડાને પોતાનો સ્ટાર પ્રચારક બનાવવો જોઈએ અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર માટે તેને ગુજરાતમાં મોકલવો જોઈએ. તેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવો જોઈએ.'
'બધા મહાઠગ અને ગુનેગારો એક જ પાર્ટી પાસે જાય છે'
કોઈપણ પક્ષનુ નામ લીધા વિના અરવિંદ કેજરીવાલે કહ્યુ, "દેશના તમામ ગુંડાઓ અને ગુનેગારો પોતાને બચાવવા માટે એક પાર્ટી પાસે જાય છે અને તે પાર્ટી તેમને સુરક્ષાની ખાતરી આપે છે. કેજરીવાલે કહ્યુ, 'અત્યારે સુકેશ પાર્ટી માટે બેટિંગ સિવાય બીજુ કંઈ કરી રહ્યો નથી જે તેને સુરક્ષા પૂરી પાડી રહી છે.
'હું મૉડર્ન જમાનાનો અભિમન્યુ છુ, મને તેમના ચક્રવ્યૂહમાંથી નીકળતા આવડે છે'
અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'એક વાત સ્પષ્ટ છે કે જો ભાજપ કોઈ પાર્ટીથી ડરે છે તો તે માત્ર આમ આદમી પાર્ટી છે. ગુજરાતની સાથે તેમણે દિલ્લીમાં પણ MCDની ચૂંટણીઓ કરાવી છે, અમે તેમના કાવતરાઓને સમજીએ છીએ. આ લોકોએ અમને ચક્રવ્યુહમાં ફસાવવાનો પ્રયાસ કર્યો પણ હું આધુનિક યુગનો અભિમન્યુ છુ. તે અભિમન્યુ ચક્રવ્યુહમાં ફસાઈ ગયો હતો પરંતુ આમના ચક્રવ્યુહમાંથી કેવી રીતે બહાર નીકળવુ તે હું જાણુ છુ.'