વરૂણના નેતૃત્વમાં કેન્દ્ર પર હલ્લાબોલ કરશે ભાજપ
લખનૌ, 4 મે : રાષ્ટ્રીય મહાસચિવ બન્યા બાદ વરૂણ ગાંધી લખનૌમાં પ્રથમવાર એક જોરદાર કાર્યક્રમ આપવા જઇ રહ્યા છે. વરૂણ ગાંધીના નેતૃત્વમાં યોજાનારા રાજકીય કાર્યક્રમને લઇને કાર્યકરોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે પહેલી મેના રોજ બરેલીમાં યોજાયેલી વરૂણ ગાંધીની સભામાં ઉમટેલા લોકોની ભીડ જોઇને નેતાઓ ખુબ ઉત્સાહમાં આવી ગયા છે.
આજથી એટલે કે શનિવાર, 4 મે 2013થી વરૂણ ગાંધી ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં આવેલા દીનદયાલ સ્મૃતિકા પાર્કમાં ધરણા ઉપર બેસશે. તેમની સાથે આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી, લખનૌના ભાજપા સાંસદ લાલજી ટંડન ઉપરાંત અનેક વરિષ્ઠ નેતાઓ પણ તેમાં જોડાવાના છે.
વરૂણના કાર્યક્રમ અંગે લક્ષ્મીકાંત વાજપેયીએ જણાવ્યું કે વરૂણનો આ કાર્યક્રમ ઐતિહાસિક રહેશે. તે માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રદેશ સ્તરના અનેક વરિષ્ઠ અને અગ્રણી નેતાઓ જોડાશે. વરૂણના ધરણા બાદ પાર્ટીના કાર્યાલયમાં કોર કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2014 માટે ઉમેદવારોના નામે ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠક અંગે વાજપેયીએ માત્ર એટલું જ જણાવ્યું કે કોર કમિટીની બેઠક શનિવારે બોલાવવામાં આવી છે. જેમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે.