કેબિનેટ કમિટીએ ગેસની કિંમતોનો નિર્ણય 3 મહિના માટે ટાળ્યો
નવી દિલ્હી, 25 જૂન : રેલવે ભાડામાં વધારો કરવાના આકરા નિર્ણયથી બારતની જનતાને લાગેલા ઝટકાને જોતા નરેન્દ્ર મોદી સરકારે રાંધણ ગેસની કિંમતો વધારવાનો નિર્ણય ત્રણ મહિના સુધી ટાળી દીધો છે. સરકારના આ નિર્ણયથી રિલાયન્સને મોટો આંચકો લાગ્યો છે.
આ અંગે માહિતી આપતા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે આર્થિક બાબતોને કેબિનેટ કમિટી (સીસીઇએ - CCEA)ની બેઠક બાદ જણાવ્યું કે કમિટીએ હાલ ત્રણ મહિના માટે નેચરલ ગેસની કિંમતોમાં વધારો કરવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. આ મુદ્દે સરકાર તમામ પક્ષો સાથે વાત કરીને નિર્ણય લેશે.
છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે નરેન્દ્ર મોદી સરકાર રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી શકે છે. બીજી તરફ મોદી સરકારક એ બાબતની શક્યતા ચકાસવામાં વ્યસ્ત હતી કે ઘરેલુ સ્તરે ઉત્પાદિત થનારા પ્રાકૃતિક ગેસની કિંમત નક્કી કરવા માટે પૂર્વ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા રંગરાજન ફોર્મ્યુલાને લાગુ કરવામાં કોઇ સુધારો કરવાની જરૂર છે કે નહીં.
પાછલી સરકારે એપ્રિલમાં રિલાયન્સ ઉદ્યોગ પાસેથી જુની કિંમત 4.2 ડોલર પ્રતિ એકમ પર પુરવઠો પૂરો પાડવા માટે જણાવ્યું હતું. આ કિંમતની અવધી 31 માર્ચે પૂરી થઇ ગઇ છે. અને 1 જુલાઇથી નવી કિંમતો અમલી બનાવવાની છે. જોકે હવે આ નિર્ણય ત્રણ મહિના સુધી ટાળવામાં આવ્યો છે.