"આ NDA નહીં, BJPનું મંત્રીમંડળ વિસ્તરણ છે"
રવિવારે થયેલ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ અંગે વિવિધ રાજકારણીઓની પ્રતિક્રિયા
રવિવારે થયેલ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણની લાંબા ગાળાથી રાહ જોવાઇ રહી હતી. મંત્રીમંડળ ફેરબદલ પહેલાં જ 6 કેન્દ્રિય મંત્રીઓએ રાજીનામું આપતાં દેશભરની નજર આ પરિવર્તન પર મંડાયેલી હતી. નવા મંત્રીમંડળમાં 9 નવા મંત્રીઓનો ઉમેરો થયો છે તથા 4 મંત્રીઓની પદોન્નતિ થઇ છે. નવા મંત્રીઓના નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે લાંબી ચર્ચા બાદ નક્કી કર્યા હોવાનું કહેવાય છે, જેમાં જદયુ ઉપરાંત શિવસેનાનો પણ સમાવેશ થયો નથી. આ અંગે વિવિધ રાજકારણીય નેતાઓના નિવેદનો આવ્યા છે.
ભાજપની આંતરિક ફેરબદલ
નવા મંત્રીમંડળમાં હાલમાં જ એનડીએમાં જોડાયેલ જદયુને જગ્યા ન મળતાં આ અંગે કે.સી. ત્યાગીએ કહ્યું કે, આ એનડીએ નહીં, પરંતુ ભાજપની આંતરિક ફેરબદલ છે. બસપા સુપ્રીમો માયાવતીએ પણ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, મંત્રીમંડળ વિસ્તરણના નામે સરકાર લોકોનું ધ્યાન બીજી દિશામાં વાળી રહી છે. મંત્રીમંડળ ફેરબદલ દ્વારા સરકાર લોકોનું ધ્યાન બેરોજગારી, સફાઇ અભિયાન, ગંગાની સફાઇ જેવા મુદ્દા પરથી ખસેડવા માંગે છે.
"જે પોતાના લોકોને છોડે તેને કોઇ સ્વીકારતું નથી"
મંત્રીમંડળ વિસ્તરણ અને ફેરબદલના તુરંત બાદ આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર વાક્પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેડીયુને શપથ ગ્રહણ કાર્યક્રમમાં પણ આમંત્રણ નથી મળ્યું. જે પોતાના લોકોને છોડે છે, એને બીજા લોકો પણ સ્વીકારતા નથી. નોંધનીય છે કે, ગત મહિને જ નીતીશ કુમાર બિહારમાં મહાગઠબંધનની સરકાર તોડી એનડીએમાં જોડાયા હતા.
Ho sakta hai bahumat ka arrogance ho,lekin hum is pe dhyaan nahi de rahe, unka bahumat hai toh apne hisab se sarkar chalayene:Sanjay Raut,SS
— ANI (@ANI) September 3, 2017
ભાજપને બહુમતનું ઘમંડ
શિવસેનાના સંજીવ રાઉતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, શિવસેનાને મંત્રીપદની લાલચ નથી. આ એનડીએનું નહીં, પરંતુ ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. આ પહેલાનું મંત્રીમંડળ વિસ્તરણ પણ ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ જ હતું. ભાજપને પોતાના બહુમતનું ઘમંડ હોઇ શકે છે અને તેઓ પોતાનું ધાર્યું જ કરે છે.