કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ 8 દિવસ બાદ તોડ્યા અનશન
નવીદિલ્હી, 15 ડિસેમ્બરઃ કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ શનિવારે આઠ દિવસ બાદ પોતાના અનશન તોડ્યા છે. તાજેતરમાં જ વિવાદિત કાર્ટૂનના કારણે આઇટી અધિનિયમ એક્ટ 66એ સાથે દેશદ્રોહનો આરોપ લગાવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અસંવૈધાનિક કાયદાને તત્કાળ હટાવવામાં આવે તેવી માંગ લઇને તે આઠ દિવસથી અનશન પર હતા.
છેલ્લા આઠ દિવસોમાં ત્રિવેદી અહીં જંતર-મંતર પર અનશન પર બેઠા હતા, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના આગ્રહ બાદ તેમણે અનશન તોડ્યા છે. કેજરીવાલે તેમને જીવન બરબાદ નહીં કરવાની સલાહ આપી છે અને સરકારને ધડમૂળથી નષ્ટ કરવાનું કામ કરવા કહ્યું છે.
ત્રિવેદી અને તેમના સહયોગી આલોક દીક્ષિતે પ્રદર્શન સ્થળ પર કેજરીવાલના હાથે જ્યૂસ પીને પોતાના અનશન તોડ્યા હતા. કેજરીવાલની અહીં હાજરી મહત્વપૂર્ણ હતી કારણ કે આ પહેલા ત્રિવેદીએ આ કાર્યકર્તાના રાજકારણમાં આવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો કે, ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે મને લાગે છે કે તેમનો નિર્ણય સાચો હતો.
તેમણે કહ્યું કે, અમે સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા ભરપૂર પ્રયત્નો કર્યા છે પરંતુ સરકાર કંઇ સાંભળતી નથી. આ સમયે દેશને રાજકિય વિકલ્પની જરૂર છે. કેજરીવાલે સરકાર પર આમ લોકોની વાત નહીં સાંભળવાનો આરોપ લગાવતા કહ્યું કે આવી સ્થિતિમાં હવે પોતાનો માર્ગ બદલવો એ જ એકમાત્ર વિકલ્પ છે.
કેજરીવાલે કહ્યું કે, આ દેશમાં યુવા પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે લડાઇ લડી રહ્યાં છે. આઇટી ધારા 66એ અસંવેધાનિક છે અને આ કાયદા હેઠળ યુવાનોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી રહ્યાં છે. ઓછામાં ઓછું સરકારે તેમની વાત જરૂરથી સાંભળવી જોઇએ. ત્રિવેદીએ આ અધિનિયમમાં બદલાવ કરવામાં આવે તે વાત પર વજન આપતા સરકાર પર તાલિબાન જેવા વ્યવહારનો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલે એમ પણ આરોપ લગાવ્યો કે ત્રિવેદી અને દીક્ષિતને દૂરસંચાર અને સૂચના પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલને મળવાની પરવાનગી પણ નહોતી આપવામાં આવી અને આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.