CBI સ્વાયત્તતા : ડાયરેક્ટરની નિમણૂંક ત્રણ સભ્યોની કમિટી કરશે
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 41 પાનાનું સોગંદનામુ દાખલ કર્યું છે. આ સોગંદનામામાં સીબીઆઇને સ્વાયત્ત બનાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં અંગેની વાત કરવામાં આવી છે. કેન્દ્રએ જણાવ્યું છે કે આ સોગંદનામુ સીબીઆઇને સ્વાયત્ત બનાવવા અંગે મંત્રીઓના સમૂહ (જીઓએમ)ની ભલામણોને રેકોર્ડમાં લાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે.
જે કમિટી સીબીઆઇ ડાયરેક્ટરની નિયુક્તિ કરશે તેના અધ્યક્ષ વડાપ્રધાન હશે. આ ઉપરાંત સીબીઆઇ જે પણ તપાસ કરશે તેનો કોઇ પણ રીતે કેન્દ્ર સરકાર પ્રભાવિત નહીં કરે. સીબીઆઇ ડાયરેક્ટરનો કાર્યકાળ બે વર્ષનો હશે. વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી સમિતિની સહમતિ વગર તેમની બદલી કરી શકાશે નહીં.
સીબીઆઇ ડાયરેક્ટરને તેમના પદ પરથી દૂર કરવા માટે રાષ્ટરપતિના આદેશની જરૂર પડશે. આ ઉપરાંત સીબીઆઇના અધિકારીઓ સામે લાગેલા આરોપોની તપાસ કરવા માટે એક જવાબદેહી આયોગની રચના કરવાનું પણ તેમાં કહેવામાં આવ્યું છે. સીબીઆઇને સ્વાયત્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સંસદમાં એક નવો ખરડો રજૂ કરશે. આ સોગંદનામાને ગયા સપ્તાહે કેન્દ્રીય મંત્રી મંડળ સમૂહે મંજૂરી આપી હતી. તેના દ્વારા સીબીઆઇ નિર્દેશકને અર્ધસૈનિક દળોના મહાનિર્દેશકોની જેમ આર્થિક સત્તા પણ આપવામાં આવી છે.