છત્તીસગઢમાં સીડીએ મચાવી સનસનીઃ સીએમ રમને લીધી 1 કરોડની લાંચ?

છત્તીસગઢમાં 2007માં ઇન્દિરા પ્રિયદર્શિની બેન્ક ગોટાળો થયો હતો, જેમાં 25 હજાર ખાતેદારોના 47 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. કોંગ્રેસે કથિત સીડીમાં રમણ સિંહનું નામ લેવામાં આવતા તેમના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રમણ સિંહે સીડીના આધારે રાજીનામું આપી દેવું જોઇએ અને આખા મામલામાં સીબીઆઇ તપાસની ભલામણ કરી જોઇએ. બીજી તરફ ભાજપે આ સીડીને ખોટી ગણાવતા તેમાં ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે.
સીડી જારી કરતા પૂર્વ મંત્રી ભૂપેશ બઘેલે દાવો કર્યો છે કે, નંદ કુમાર પટેલ આ સીડીને લઇને ખુલાસો કરવાના હતા પરંતુ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે, નક્સલી હુમલામાં માર્યા ગયેલા નંદકુમાર પટેલના પુત્ર દિનેશ પટેલે એક એસએમએસ થકી કહ્યું હતું કે તે સરકાર વિરુદ્ધ એવ એવો ભાંડાફોડ કરવાના છે , જેનાથી સરકાર પડી જશે. તેઓ આ સીડીની વાત કરી રહ્યાં હતા.
બઘેલે સીડીના હવાલાથી જણાવ્યું કે, મુખ્યમંત્રી રમણ સિંહ અને તેમની સરકારના મંત્રીઓ બૃજમોહન અગ્રવાલ, રામ વિચાર નેતા, અમર અગ્રવાલ અને રાજેશ મૂણતને બેન્ક મેનેજર ઉમેશ સિન્હાએ એક-એક કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત સીડીમાં તત્કાલિન ડીજીપી ઓપી રાઠોડને પણ એક કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. બઘેલે રમણ સિંહને આખા મામલામાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાની માંગ કરતા પૂછ્યું છે કે, શા માટે છત્તીસગઢ સરકારે આટલા મોટા ગોટાળાની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની માંગ નહોતી કરી?
બીજી તરફ છત્તીસગઢની ભાજપ સરકારે આ સીડીને નકલી ગણાવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના શાળા શિક્ષા મંત્રી બૃજમોહન અગ્રવાલે પત્રકાર પરિષદ કરીને સીડી સામે જ પ્રશ્નો ખડા કરી દીધા છે. તેમણે કહ્યું કે, ખોટી વાતોને સીડી થકી સાચા બતાવવાએ કોંગ્રેસની જુની આદત છે.












Click it and Unblock the Notifications
