Chandrayaan-3 : બહુ જલ્દી ઉંંઘમાંથી જાગશે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર, સુર્યોદય થતા જ પ્રકિયા શરૂ કરાશે
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરીને દુનિયાભરમાં છવાયા બાદ હવે વિક્રમ લેન્ડર ફરી એક વખત ઉંઘમાંથી જાગવા જઈ રહ્યું છે. ઈસરો બહુ જલ્દી પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને ઉંઘમાંથી જગાડીને કામે લગાડશે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રાત થઈ જવાને કારણે 4 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મોકલી દેવાયા હતા. હવે બંનેનો જાગવાનો સમય આવી ગયો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ધીમે ધીમે સવાર થઈ રહી છે.

ઈસરોના સ્પેસ ફ્લાઈટના અહેવાલ અનુસાર, આજે શિવ શક્તિ પોઈન્ટ પર સૂર્યોદય થવાની સંભાવના છે. ટૂંક સમયમાં વિક્રમ અને પ્રજ્ઞાનને સૌર ઉર્જા મળવા લાગશે. એક-બે દિવસની રાહ જોયા બાદ સ્પેસ એજન્સી 22 સપ્ટેમ્બરે તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.
જાણકારો અનુસાર, ચંદ્ર પર 14 દિવસનો દિવસ અને 14 દિવસની રાત હોય છે. રાત્રિના સમયે ત્યાંનું તાપમાન માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. આ સ્થિતિમાં જ્યારે સૂર્યના કિરણો પ્રજ્ઞાન અને વિક્રમ પર પડશે ત્યારે પહેલા તેની ગરમ થવાની રાહ જોવાશે.
ઈસરો અનુસાર, પ્રજ્ઞાનને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવામાં આવ્યુ છે. તેની તમામ પેનલ એવી દિશામાં સેટ કરાઈ છે જ્યાંથી તે સંપૂર્ણ સૂર્યપ્રકાશ મેળવી શકે. તેની તમામ બેટરીઓ પણ ચાર્જ છે. અપેક્ષા છે કે 22 સપ્ટેમ્બરના રોજ તે ઊંઘમાંથી જાગશે અને ફરીથી કમાન્ડ સેન્ટર સાથે સંપર્ક સ્થાપિત કરશે.
ઈસરોના અનુસાર, ચંદ્રની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે. આ સ્થિતિમાં સાધનોને નુકસાન થવાની સંભાવના રહે છે. જો બધા ઉપકરણો સુરક્ષિત હશે તો કનેક્શન સ્થાપિત થશે.
જણાવી દઈએ કે, પ્રજ્ઞાન રોવરના મિશનનો સમયગાળો માત્ર 14 દિવસનો હતો. તેણે પોતાનું કામ પૂરું કર્યું છે. ઘણા લોકોના મનમાં સવાલ છે કે શું વિક્રમ લેન્ડર પ્રજ્ઞાન રોવર સાથે પરત ફરશે? તમને જણાવી દઈએ કે આ મિશન પરત ફરવા માટે નથી.
જ્યાં સુધી બંનેના સાધનો ઠીક રહેશે ત્યાં સુધી તેઓ ત્યાંથી ડેટા મોકલતા રહેશે. આ પછી બંને હંમેશ માટે ત્યાં જ રહેશે. માનવામાં આવે છે કે ઈસરોના ચંદ્રયાન-4 મિશનમાં લેન્ડર ત્યાંથી સેમ્પલ લઈને પરત ફરશે. આ અંગે કામ ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
