ચારધામ યાત્રા શરૂ; ભક્તોમાં ઉત્સાહના પૂર ઓસર્યાં
દહેરાદૂન, 4 મે : આ વર્ષની ચારધામ યાત્રાનો શુભારંભ થઇ ચૂક્યો છે. ગયા વર્ષે કેદારનાથમાં વાદળ ફાટવાથી આવેલા પુરને કારણે હજારો લોકો માર્યા ગયા હતા. આ વર્ષે આવી ઘટનાથી બચવા માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે આ વર્ષે ભક્તોના ઉત્સાહમાં કમી જોવા મળી છે.
ભગવાન કેદારનાથના મંદિરના દ્વાર શુક્રવારે સવારે 6 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. જ્યોતિષીઓની સલાહ અનુસાર શુક્રવારે સવારે 6 વાગ્યે મંદિરમાં મેષ લગ્ન વિશે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાન કેદારનાથના ઉત્સવની ડોલી ગુરુવારે મંદિરમાં પહોંચાડી દેવામાં આવી હતી.
ઉલ્લેખયનીય છે કે ગયા વર્ષે કેદારનાથમાં આવેલી કુદરતી આફતને પરિણામે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના કારણે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ભક્તોમાં ઉત્સાહની કમી જોવા મળી રહી છે.
આ વખતની કેદારનાથ યાત્રા માટે 700 જેટલા સ્થાનિક લોકો સહિત લગભગ 2000 જણે પોતાના નામ રજિસ્ટર કરાવ્યા છે. યાત્રાના બેઝ સ્થાનો ખાતે વ્યવસ્થા હજી અધૂરી છે. એપ્રિલની હિમવર્ષાને કારણે ઘણા કામમાં અવરોધો ઊભા થયા છે.
કેદારનાથ મંદિર ભગવાનનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન ગણાય છે. બદરીનાથ ધામ મંદિરના દ્વાર પાંચ મેના રોજ ખોલવામાં આવનાર છે. ચાર ધામ યાત્રા માટેના અન્ય બે યાત્રાધામ - ગંગોત્રી તથા યમુનોત્રીના દ્વાર પણ ખોલી દેવામાં આવ્યા છે.
ગૌરી કુંડ નજીક 5000 શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંબૂઓ, કોટેજીસ બાંધવામાં આવ્યા છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એક અધિકારીનું કહેવું છે કે શ્રદ્ધાળુઓ રાતવાસો કરી શકે અને રાતે ભોજન કરી શકે તે માટે અમે પૂરતી વ્યવસ્થા કરી છે.
એસટીએફ ટૂકડીની આગેવાની ઉત્તરાખંડના પોલીસ વડા જી.એસ. મર્ટોલિયાએ લીધી છે. સોનપ્રયાગ અને રામબારાથી કેદારનાથ સુધીના માર્ગ પરના મુશ્કેલ સ્થાનોએ એસટીએફના સભ્યોને તહેનાત કરવામાં આવ્યા છે.