આસારામ જેવો છે તેજપાલનો ગુનો, જેલમાં નાખી દો: શરદ યાદવ
નવી દિલ્હી, 22 નવેમ્બર: તહેલકા મેગેઝીનના ચીફ એડિટર તરૂણ તેજપાલ પર રાજકીય હુમલા શરૂ થઇ ગયા છે. જનતા દળ-યૂનાઇટેડના નેતા શરદ યાદવે કહ્યું છે કે તરૂણ તેજપાલનો ગુનો આસારામ જેવો છે અને તેમને જેલમાં નાખી દેવા જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે તરૂણ તેજપાલની એક સહકર્મીએ તેમના પર પોતાના પર શારિરીક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઘટના ગોવામાં તહેલકા મેગેઝીનના 'થિંક ફેસ્ટ' ઇવેન્ટ દરમિયાન આ ઘટી હતી. ત્યારબાદ તરૂણ તેજપાલે ગુનો સ્વિકાર કરી છ મહિના માટે પત્રિકાથી પોતાને અલગ કરી દેતાં રાજીનામું મેનેજીંગ તંત્રી શોમા ચૌધરીને મોકલી દિધું હતું.
પીડિત મહિલા પત્રકારે તહેલકાના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો છે. એક ચેનલના રિપોર્ટ અનુસાર પીડિતાએ કહ્યું હતું કે તહેલકામાં બીજા પત્રકાર આ નિર્ણયથી સંતુષ્ટ છે એમ કહેવું બિલકુલ ખોટું છે. તહેલકામાં ફક્ત તરૂણ તેજપાલના પ્રાયશ્ચિત પત્રને ફરતો કરવામાં આવ્યો છે, મારી વાતોને લોકો સુધી પહોંચાડવામાં નથી આવી. પીડિતાની મહિલા મિત્રએ આરોપ લગાવ્યો છે કે તેના પર યૌન હુમલો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે તૂટી ગઇ છે તથા ભાવનાત્મક રીતે ડરેલી છે.
બીજી તરફ ગોવા પોલીસનું કહેવું છે કે તહેલકાનું મેનેજમેન્ટ તેમની તપાસમાં મદદ કરી રહ્યું નથી. જ્યારે તહેલકાના મેનેજીંગ તંત્રી શોમા ચૌધરીનું કહેવું છે કે તરૂણ તેજપાલ દેશ છોડીને ભાગ્યા નથી, તે દેશમાં જ છે.