ચીને લદ્દાખમાં 640 ચો.કી. જમીન પચાવી; એન્ટોની કરશે સ્પષ્ટતા
જમ્મુ - કાશ્મીર, 6 સપ્ટેમ્બર : ભારતની અનેક ચેતવણીઓ છતાં ચીને ભારતની સરહદ પર ઘૂસણખોરી અટકાવવાને બદલે ચાલુ રાખી છે. તાજેતરમાં મળેલા અહેવાલ અનુસાર ચીનની સેનાએ લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી - લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) નજીક 640 ચોરસ કિલોમીટરની જગ્યા પર કબ્જો જમાવી લીધો છે. આ મુદ્દે સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોની આજે સંસદમાં સ્પષ્ટતા કરશે.
વડાપ્રધાનના સુરક્ષા નિષ્ણાતો દ્વારા વડાપ્રધાનને સોંપાયેલ એક અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. છેલ્લા ઘણા સમયથી ભારતની ચીન સાથે જોડાયેલી સરહદે ચીની સેના દ્વારા અનેક વાર ઘૂસવાના પ્રયાસો થયા છે. ત્યારે આ મુદ્દે હજુ સુધી કોઈ જ પગલાં ન લેવાયા હોઈ રોષની લાગણી પ્રવર્તી છે.
આ અહેવાલ પ્રમાણે લદ્દાખના ડેપસાંગ, ચુમાર, પૈંગાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને અટકાવ્યા હતા. અહેવાલ પ્રમાણે ચીની સૈનિકોએ ભારતીય જવાનોને વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી જવાથી અટકાવ્યા હતા. એટલે કે એલએસી નજીકની 640 ચોરસ કિલોમીટરનો આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની દેખરેખ હેઠળ નથી. સૂત્રોનું માનીએ તો આ મુદ્દે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરાઈ હતી. જોકે સંસદના ચોમાસુ સત્રમાં આ વિશેની કોઈ જ માહિતી અપાઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષમાં ચીની સેનાએ અનેક વાર ભારતીય સરહદમાં ઘૂષણખોરી કરી છે. ડેપ્સાંગ ઘાટીમાં ચીની સેનાએ ભારતીય જમીન પર 21 દિવસ સુધી તંબૂ તાણી રાખ્યા હતા. ત્યાર બાદ પણ ઘૂષણખોરીના સમાચારો આવ્યા.
આ તરફ ભાજપે વડાપ્રધાનના વિશેષ દૂત એવા શ્યામ શરમના આ અહેવાલમાં અંકુશ રેખા પર 640 ચોરસ કિલોમીટરની જમીન પર ચીન દ્વારા કબ્જો કરવાની વાતને ગુપ્ત રાખવા બદલ તેમના પર ગંભીર આરોપો મૂક્યા છે. ભાજપના નેતા યશવંત સિન્હાએ ગુરુવારે આ વિશે શ્યામ શરન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શ્યામ શરનને ભારતીય સુરક્ષા અંગે દેખરેખ રાખવાની જવાબદારી સોંપાય છે, તેમણે પોતાના અહેવાલમાં આ કબૂલાત કરી છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (એનએસએબી) અધ્યક્ષ શ્યામ શરનની અધ્યક્ષતામાં આ સમિતિએ સરહદીય વિસ્તારોમાં આધારભૂત માળખાનો વિકાસ અને તેની સ્થિતિની તપાસ કરવા 2 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન લદ્દાખની મુલાકાત લીધી હતી. સમિતિએ તેના અહેવાલમાં લખ્યું છે કે ભારત જેને એલએસી માને છે તેમાં દૌલત બૈગ ઓલ્ડી અને લદ્દાખના અન્ય સેક્ટરોમાં ચીની સૈનિકોએ મોટર દ્વારા અવર-જવર કરી શકાય તેવા રસ્તાઓ પણ બનાવી દીધા છે.