દિલ્હીઃ આપ કાર્યકર્તા-પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેકને પહોંચી ઇજા
નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ દિલ્હી રેલ ભવન ખાતે ધરણા પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેરિકોડ તોડીને રેલ ભવનમાં દાખલ થવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક કાર્યકર્તાઓ અને એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વાતચીત કરવા આવેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાર્યકર્તા દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, દિલ્હી પોલીસ વિરુદ્ધ કેજરીવાલ કેબિનેટના ધરણાનો આજે બીજો દિવસ છે. રેલ ભવનની બહાર આખી રાત આમ આદમી પાર્ટીના સમર્થકોની ભીડ રહી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાત્રે રેલ ભવનની બહાર રસ્તા પર સુઇ ગયા. દિલ્હી સરકારના મંત્રીઓ સાથોસાથ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ધરણા પર રહ્યા. ‘આપ' નેતા સંજય સિંહ અને યોગેંન્દ્ર યાદવના કાર્યકર્તાઓ પણ આખી રાત ધરણા પર બેઠાં હતા. કેજરીવાલે આજે સવારે મીડિયા સાથે વાત કરતા કેન્દ્ર સરકારને ચેતાવણી આપી દીધી. કેજરીવાલે કહ્યુ કે અમે રાજપથના લોકોથી ભરી દઇશું. હું લોકોને અપીલ કરુ છુ કે પોતાના કામમાંથી રજા લઇને ધરણામાં સામેલ થઇ જાય. આ સાથે જ કેજરીવાલે આરોપ લગાવ્યા કે રેલ ભવન અને પબ્લિક ટોઇલેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, સાથે જ ધરણા સ્થળ સુધી પોલીસ ચા પણ પહોંચવા નથી દઇ રહી.