તેલંગાણા મુદ્દે હંગામો : લોકસભા અને રાજ્યસભા સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી આજે જેવી શરૂ થઇ કે સભા પતિ ડૉ હામિદ અન્સારીએ પહેલા દ્રમુકના સાંસદ કનીમોજીને ફરી વાર રાજ્યસભા સભ્ય તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યસભાના દિવંગત પૂર્વ સાંસદો તથા ઉત્તરાખંડ અને અન્ય પ્રાકૃતિક આફત તથા નક્સલી તથા આતંકવાદી હુમલાઓમાં માર્યા ગયેલા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ રીતે અંદાજે 25 મીનિટ પસાર થયા બાદ જ્યારે પ્રશ્નકાળ શરૂ થયો ત્યારે ત્રણ સાંસદો તીરની જેમ નીકળ્યા હતા. તેમના હાથોમાં પોસ્ટર્સ હતા. સાંસદોમાં બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના વિશ્વજીત દામરી પણ હતા, જ્યારે બાકીના બે સાંસદો અલગ તેલંગાણા રાજ્યનો વિરોધ કરી રહ્યા હતા.
તેલુગુદેશમના નેતા પી મૈત્રેયન પણ પોતાની બેઠક પર ઉભા થઇને બોલવા લાગ્યા હતા. ત્રણ સાંસદ સભા પતિના આસનની પાસે જઇને અવાજ કરવા લાગ્યા હતા. સભાપતિ ડૉ અંસારીએ તેમના વારંવાર જણાવ્યું કે તેઓ પોતાની સીટ પર જાય અને હવામાં પોસ્ટર્સ ના લહેરાવે. તેમણે તેમને પૂછ્યું કે આપે કોઇ નોટિસ આપી છે? નોટિસ આપ્યા વિના આપ આમ શા માટે કરી રહ્યા છો? આ નિયમોનો ભંગ છે. આમ છતાં સાંસદોએ તેમની વાત માની ન હતી.
આ મુદ્દે ડૉ અંસારીએ 15 મીનિટ માટે સંસદ સ્થગિત કરી દીધી હતી. સવારે 11.37 વાગે જ્યારે સંસદની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહ પણ સંસદમાં ઉપસ્થિત હતા. ત્રણ સાંસદોએ ફરી સભાપતિના ટેબલ પાસે પહોંચીને હંગામો મચાવી દીધો. સભાપતિએ તેમને ફરી ચેતવ્યા. તેઓ નહીં માનતા સંસદની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આમ પહેલા દિવસે પ્રશ્નકાળ યોજાઇ શક્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે આ સત્રમાં કેન્દ્રની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે 40 ખરડાને ચર્ચા કરીને પાસ કરાવવા માટેની યાદી તૈયાર કરી છે. સંસદનું ચોમાસુ સત્ર માત્ર 12 દિવસનું હોવાથી તમામ 40 ખરડા પર ચર્ચા કરાવવા સરકાર માટે પડકારરૂપ બની રહેશે. આ સ્થિતિમાં સરકારના એજન્ડામાં ખાદ્ય સુરક્ષા ખરડા પર ચર્ચા કરાવી તેને પાસ કરાવવાની પ્રાથમિકતા સૌથી વધારે રહેશે.
સંસદનું ચોમાસુ સત્ર યોગ્ય રીતે યોજાય તે માટે વડાપ્રધાન મનમોહન સિંહે તમામ વિપક્ષો પાસેથી સહયોગની માંગણી કરી છે. ચોમાસુ સત્રમાં ખાદ્ય બિલ ઉપરાંત જે બિલો પર ચર્ચા થવાની શક્યતા છે તેમાં ભૂમિ અધિગ્રહણ બિલ, વીમા અને પેન્શન બિલ, કંપની સંબંધિત બિલ, પ્રત્યક્ષ કર સંહિતા ખરડો અને સેબીના નિયમોમાં બદલાવ અંગેના બિલનો સમાવેશ થાય છે. આ સત્રમાં જજોની નિયુક્તિની નવી પરીક્ષાની માંગ કરતા રાષ્ટ્રીય ન્યાયિક પંચનો પણ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત સરકારે પહેલેથી જ સત્ર દરમિયાન ઉત્તરાખંડના પૂરથી ઉભી થયેલી મુસીબત અંગે ચર્ચા કરવા પર સહમતિ દર્શાવી છે.