બાલાકોટ સ્ટ્રાઈકના હીરો અભિનંદનને ગ્રુપ કેપ્ટન તરીકે પ્રમોશન અપાયું!
બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વાયુસેના દ્વારા દિવાળી પર એક મોટી ગિફ્ટ મળી છે. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પ્રમોશન આપી હવે ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
નવી દિલ્હી, 03 નવેમ્બર : બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વાયુસેના દ્વારા દિવાળી પર એક મોટી ગિફ્ટ મળી છે. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પ્રમોશન આપી હવે ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાની ફાઈટર જેટ F-16 સાથે ડોગ ફાઈટ કરનાર અભિનંદનને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે. તેમને ટૂંક સમયમાં નવો હોદ્દો સોંપવામાં આવશે. ગ્રુપ કેપ્ટન ભારતીય સેનાના કર્નલ પદ બરાબર છે.
અત્યાર સુધી અભિનંદન એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે ફરજ બજાવતા હતા. પ્રમોશન બાદ હવે તે ગ્રુપ કેપ્ટન તરીકે ફરજ બજાવશે. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલા કર્યા હતા. આ પછી પાકિસ્તાની ફાઈટર પ્લેને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. એ અલગ વાત છે કે તેમના વિમાનને પણ નુકસાન થયું હતું. આ યુદ્ધમાં વિમાન ક્રેસ થતા તે PoK માં ઉતર્યા હતા.
ત્યારબાદ તેમને પાકિસ્તાની સેના દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ભારતના સતત દબાણ અને આંતરરાષ્ટ્રીય દખલને કારણે પાકિસ્તાની સેનાએ તેને મુક્ત કરવાની ફરજ પડી હતી. બે દિવસ પછી તે 1 માર્ચે વાઘા-અટારી બોર્ડરથી ભારત પાછા ફર્યા હતા. તેમની બહાદુરી માટે ભારત સરકારે તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા હતા. અભિનંદન શ્રીનગરની 51 સ્ક્વોડ્રનનો ભાગ છે.
14 ફેબ્રુઆરી 2019 ના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. હુમલાની જવાબદારી મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ત્યારથી ભારતમાં પાકિસ્તાન પર બદલો લેવા માંગ ઉઠી બની હતી. આના પર 26 ફેબ્રુઆરી 2019 ના રોજ વહેલી સવારે ભારતીય ફાઇટર એરક્રાફ્ટ મિરાજ 2000 ના એક જૂથે એલઓસી પાર કરી અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધા હતા.