મધ્યપ્રદેશના PMT કૌભાંડમાં ભાજપના નેતા ઉમા ભારતીની સંડોવણીનો આરોપ
ભોપાલ, 21 જૂન : મધ્યપ્રદેશના વ્યાવસાયિક પરીક્ષા મંડળ (વ્યાપમ)માં ભરતી કૌભાંડમાં કોંગ્રેસે હવે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીની સંડોવણીનો આરોપ મૂક્યો છે. આ અંગે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા કે કે મિશ્રાએ શનિવારે દાવો કર્યો હતો કે તેમની પાસે આ વાતના પાક્કા પુરાવા છે.
મિશ્રાએ જણાવ્યું છે કે આ કૌભાંડમાં ઉમા ભારતી ઉપરાંત કૈલાસ વિજયવર્ગીય સહિત ભાજપના અનેક મોટા નેતાઓની સંડોવણી છે. મિશ્રાએ આ કૌભાંડમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેમના પરિવાર તથા સગાઓ પર આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના આરોપો પર ઉમા ભારતીએ હજી સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.
મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર આ કૌભાંડમાં ખરાબ રીતે ફસાયેલી છે. આ કારણે કૌભાંડનો રેલો મુખ્યમંત્રી સુધી પહોંચી રહ્યો છે. આ કેસમાં હાઇકોર્ટની નજર હેઠળ ચાલી રહેલી કૌભાંડની ચપાસમાં એસટીએફ દ્વારા શિવરાજ સિંહ અને પૂર્વ પીએ પ્રેમ પ્રસાદને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
પ્રેમપ્રસાદ પર પોતાની દીકરીને પીએમટીની પરીક્ષામાં ખોટી રીતે પાસ કરાવવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એસટીએફ દ્વારા પૂર્વ ઉચ્ચ શિક્ષણ, તકનીકી શિક્ષણ અને જનસંપર્ક મંત્રી લક્ષ્મીકાંત શર્માને સંવિદા શિક્ષક વર્ગ-2 અને વર્ગ-3માં ભરતીમાં કૌભાંડ આચરવા બદલ ધરપકડ કરી હતી. શર્માને કોર્ટે 24 જૂન સુધી પોલીસ રિમાન્ડમાં મોકલી આપ્યા છે.
એસટીએપએ કોર્ટમાં જણાવ્યું છે કે તે વ્યાપમમાં પૂર્વ પરીક્ષા નિયંત્રક પંકજ ત્રિવેદી અને તેમના ઓએસડી રહી ચૂકેલા ઓ પી શુક્લની સામ-સામે બેસાડીને પૂછપરછ કરવા માંગે છે. આ પહેલા ગુરુવારે મધ્યપ્રદેષના જુદા જુદા વિસ્તારોમાંથી પીએમટી કૌભાંડના આરોપમાં 100 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી.એસટીએફ દ્વારા આ વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. એસટીએફ આ કેસમાં 30 જૂનના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે.
બીજી તરફ વિપક્ષ આ કૌભાંડને લઇને શિવરાજ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવાના પ્રયાસમાં છે. વિપક્ષના નેતા સત્યદેવ કટારેએ આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માંગણી કરી છે. કટારેએ જણાવ્યું છે કે આ મામલામાં અનેક પાવરફુલ લોકો જોડાયેલા છે. આ કારણે તેની નિષ્પક્ષ તપાસ માટે જરૂરી છે. જેથી કેસ સીબીઆઇને સોંપવામાં આવે.