કોંગ્રેસે 70 વર્ષોમાં બંધારણ બચાવીને રાખ્યુ એટલે PM બની શક્યા નરેન્દ્ર મોદીઃ મલ્લિકાર્જૂન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બિહારમાં ભારત જોડો યાત્રામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા.
Mallikarjun Kharge Bharat Jodo yatra: રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશ પછી હવે બિહારમાં પહોંચી છે. અહીં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ યાત્રાને લીલી ઝંડી બતાવી. આ દરમિયાન તેમણે કહ્યુ કે પીએમ મોદી હંમેશા પૂછે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યુ? હું તેમને જણાવવા માંગુ છુ કે કોંગ્રેસે બંધારણને બચાવ્યુ એટલા માટે તો તેમના જેવા વ્યક્તિ પીએમ બની શક્યા અને મારા જેવા ગરીબ વ્યક્તનો દીકરો એઆઈસીસી અધ્યક્ષ બની શક્યો.

ખડગેએ વધુમાં કહ્યુ કે ભાજપે દેશને આઝાદી નથી અપાવી, તેમનો એકપણ કાર્યકર્તા જેલમાં નથી ગયો. કોંગ્રેસે ભારતને આઝાદી અપાવી અને તેના વિકાસમાં યોગદાન આપ્યુ. ભાજપનુ કામ ધર્મના નામે સમાજમાં ભાગલા પાડવાનુ અને ગરીબોને કચડી નાખવાનુ છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસે લોકશાહી બચાવી, કોંગ્રેસે બંધારણ બચાવ્યુ. કોંગ્રેસે બધુ કર્યુ. પંડિત જવાહરલાલ નેહરુએ દેશને પ્રગતિના પંથે આગળ ધપાવ્યો. તેમણે સવાલ કર્યો કે, એઈમ્સ, આઈઆઈટી, આટલી બધી એન્જિનિયરીંગ કૉલેજો કોની છે? બધી આ દેશની છે અને તેનુ નિર્માણ કોંગ્રેસની સરકારોએ કરાવ્યુ.
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'આજે દેશમાં જે દેખાઈ રહ્યુ છે તે ભાજપનુ નહિ કોંગ્રેસનુ કામ છે. અમે જેમને એન્જિનિયર બનાવ્યા તેમને તમે ગેરમાર્ગે દોર્યા છે. એકબીજા સામે સમાજને તોડવા, ધર્મના નામે લડાવવા, આ ભાજપનુ કામ છે.' તેમણે કહ્યુ, 'હજારો જગ્યાઓ ખાલી છે પરંતુ મોદી સરકાર યુવાનોને નોકરી નથી આપી રહી. વડાપ્રધાને કહ્યુ હતુ કે તેઓ મોંઘવારી ઘટાડશે, વિદેશમાંથી કાળુ નાણુ પાછુ લાવશે, દર વર્ષે બે કરોડ નોકરીઓ આપશે, જ્યારે અત્યારે આખો દેશ મોંઘવારી અને બેરોજગારીથી પીડિત છે.'
તમને જણાવી દઈએ કે બિહારમાં ભારત જોડો યાત્રા 1200 કિલોમીટરની છે. બાંકાથી શરૂ થઈને આ યાત્રા ભાગલપુર, નવગછિયા, ખગડિયા, બેગુસરાય, સમસ્તીપુર, દરભંગા, મધુબની, સીતામઢી, શિવહર, મુઝફ્ફરપુર, વૈશાલી, પટના, આરા, બક્સર, કૈમુર, સાસારામ, ઔરંગાબાદ, ગયા થઈને બોધગયા ખાતે સમાપ્ત થશે.












Click it and Unblock the Notifications
