કોંગ્રેસને ગાંધી જોઇએ છે, બાપુ નહીં
રાજ્ય કક્ષાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય કોંગ્રેસ દ્વારા મત મેળવવા અને લોકોના દિલ જીતવા માટે ગાંધીજીના નામનો ભરપૂર ઉપયોગ કરે છે. તેમને પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે અને સત્તાધિશ થવા માટે તેમને ગાંધી જોઇએ છીએ પરંતુ એ જ ગાંધીને તેઓ પિતા તરીકેની ઉપાધિ આપવા માટે તૈયાર નથી. લખનઉના એક આરટીઆઇ કાર્યકર્તા દ્વારા એ વાત જાણવા માગી હતી કે ગાંધીજીને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવામાં આવી છે કે, નહીં ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે ના, મહાત્મા ગાંધીને એવી કોઇ ઉપાધિ આપવામાં આવી નથી. પરંતુ, બીજી રીતે જોઇએ તો કેન્દ્ર સરકાર ઇચ્છે તો મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપી શકે. અને એ વાતમાં જરા પણ શંકા નથી કે બાપુને આ પ્રકારની ઉપાધિ આપવામાં આવે તો તેનો વિરોધ કોઇપણ પક્ષ દ્વારા કરવામાં આવે પરંતુ આમ કરવા માટેની મહેચ્છા હોવી જરૂરી છે, જે છેલ્લા ઘણા વર્ષોથી કેન્દ્રમાં સત્તારૂઢ રહેલી કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર કરી રહી નથી. એવું પણ નથી કે યુપીએ દ્વારા જે કોઇ પણ નિર્ણય લેવામાં આવે છે તે બધાની અનુમતિથી લેવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા જે દોરીસંચાર કરવામાં આવે છે તેને જ તેની સહયોગી પાર્ટી અનુસરે છે. જો કે, કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવા અંગે આ પ્રકારનું કોઇપણ દોરીસંચાર કરી રહી નથી.
કેન્દ્ર સરકાર બાપૂને 'રાષ્ટ્રપિતા'ની ઉપાધિ આપવા તૈયાર નથી
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે બાપુને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવાની મનાઇ કરી દિધી છે. ગૃહ મંત્રાલયે સંવિધાનના નિયમોનો હવાલો આપતાં કહ્યું હતું કે દેશનું સંવિધાન ફક્ત શૈક્ષણિક અને સૈન્ય ઉપાધિઓ ઉપરાંત બીજી કોઇ ઉપાધિ આપવાની પરવાનગી આપતી નથી. સૂચનાના અધિકાર હેઠળ માંગવામાં આવેલી જાણકારીમાં આ ખુલાસો થયો છે કે ગૃહ મંત્રાલયે મહાત્મા ગાંધીના અંગત સચિવ રહી ચુકેલા કલ્યાણમના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે, જેમાં તેમને મંત્રાલય પાસે આ અંગે વક્તવ્ય રજૂ કરવાનું કહ્યું હતું.
લખનઉની આરટીઆઇ કાર્યકર્તા એશ્વર્યા પરાશરે કેન્દ્ર સરકાર પાસે પહેલાં આ જાણાકરી માંગી હતી કે ગાંધીજીને રાષ્ટ્રપતિ કેમ કહેવામાં આવે છે? આ મુદ્દે તેને જણાવવામાં આવ્યું હતું કે ગાંધીજીને સરકારી રીતે આ પ્રકારની કોઇ ઉપાધિ આપવામાં આવી નથી. ત્યારબાદ એશ્વર્યાએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખીને રાષ્ટ્રપતિની ઉપાધિથી વિભૂષિત કરતાં આ જાહેરાત કરવાની પ્રાર્થના કરી હતી. આ મુદ્દે મંત્રાલયે તેમને સંવિધાનની કલમ 18 (1) નો હવાલો આપતાં જણાવ્યું હતું કે મિલેટ્રી ટાઇટલ અને શૈક્ષણિક ઉપાધિઓ સિવાય સરકાર કોઇ ઉપાધિ આપી શકતી નથી, માટે આવું કરવું મુશ્કેલ છે. આ જાણકારી સામે આવ્યા બાદ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને મહાત્મા ગાંધીના અંગત સચિવ વી કલ્યાણમે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને પત્ર લખીને બાપુને રાષ્ટ્રપિતાની ઉપાધિથી વિભૂષિત કરવાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે ગૃહ મંત્રાલય આ મુદ્દે વ્યક્તવ્ય જાહેર કરે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવા અંગે શું વિચારે છે.
રાહુલ ગાંઘીના નિવેદનમાં અવાર-નવાર જોવા મળે છે ગાંધીજીનો ઉલ્લેખ
જો તમને યાદ હોય તો ડિસેમ્બર 2012માં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળો પર ફર્યા હતા અને કોંગ્રેસને વિજયી બનાવવા માટે ગુજરાતની જનતાને અનુરોધ કરી રહ્યાં હતા. જો કે, તેમના દ્વારા કરવામાં આવેલા ભાષણની નોંધ લેવામા આવે તો તેઓ હરી-ફરીને મહાત્મા ગાંધીની આસપાસ આવીને રહેતા હતા. એ પછી અમરેલી હોય કે ભુજ. તેઓ ગાંધીજીને પોતાના ગુરુ, આદર માની રહ્યાં હોવાનું જણાવી રહ્યાં હતા અને તેમની રાજકીય કારકિર્દી પર ગાંધીજીનું શું પ્રભુત્વ છે તે અંગે જણાવી રહ્યાં હતા. ગાંધીજીના જીવન સાથે જોડાયેલા કિસ્સાઓ વર્ણવી રહ્યાં હતા, પરંતુ જ્યારે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપવાની વાત કરીએ તો કોંગ્રેસના આ ઉપાધ્યક્ષ તરફથી તેમના ગુરુ પ્રત્યેનો આદર અને લાગણી જરા પણ જોવા મળી રહી નથી.
ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં ગુજરાત રાજ્યનું એક અલગ મહત્વ છે. ગુજરાત સાથે નહેરું પરિવારને અનોખો સંબંધ છે. ગુજરાતે દેશન લોકતંત્ર આપ્યું. લોકશાહી દેશને ગુજરાતે શિખવી છે. હું છેલ્લા 8 વર્ષથી રાજકારણમાં છું અને મારા રાજકારણના ગુરુ કોણ છે તે અંગે હું તમને જણાવવા માંગુ છું. મારા રાજકારણના ગુરુ ગાંધીજી છે. ગાંધીજીની વિચારધારા જૂની છે તેમ બધા કહે છે. પણ તમને જણાવવા માંગુ છું કે હું એ વિચારધારા કેમ માનું છું અને તેમને મારા ગુરુ શા માટે માનું છું. અમારી સામે કપરા નિર્ણયો આવતા હોય છે. આ કરીએ કે પેલું કરીએ, જ્યારે અમારી સામે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અમારે અમારા માટે કેટલાક નિયમો બનાવવા પડે છે, ગમે તે થાય પરંતુ હું એ નિયમને નહીં તોડું. નિયમ નહીં હોય તો લાંબો વિચાર નહીં કરી શકાય. ગાંધીજીનો નિયમ હતો કે સહેલો કાયદો, તેમનો એ કાયદો હતો કે ભારતના દરેક વ્યક્તિનો અવાજ સાંભળવો જોઇએ, પછી તે ગરીબ હોય કે અમીર. ગાંધીજીની એ વિચારધારા હતી.