કોલ ગેટ કૌભાંડમાં ગુમ ફાઇલોની સંખ્યા અંગે વિરોધાભાસ
નવી દિલ્હી, 23 ઓગસ્ટ : સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેતો સંઘર્ષ આજે અટક્યો હતો. જેના પગલે આજે વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્ય સભામાં પહોંચ્યા હતા. વડાપ્રધાન મનમોહન સિંહ કોલસા બ્લોકની ફાળવણીની ગુમ થયેલી ફાઇલો અંગે જવાબ આપવા માટે ઉભા થાત પણ એ પહેલા જ તેલંગાણા મુદ્દે આજે ફરી હોબાળો સર્જાયો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી આજે પણ ઠપ્પ થઇ ગઇ હતી.
આ દરમિયાન કોલસા ખાણોની ફાળવણીની ફાઇલો ગુમ થઇ જવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. આ માટે કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે જણાવ્યું કે સીબીઆઇએ માંગેલી ફાઇલોમાંથી સાત ફાઇલો ગુમ છે. બીજી તરફ સીબીઆઇનું કહેવું છે કે તેને હજી 225 ફાઇલો મળી નથી. આ ફાઇલોને જ આધારે તમામ 13 એફઆઇઆર અને પોલીસ ફરિયાદોની તપાસ થવાની છે.
શ્રીપ્રકાશ જયસ્વાલે જણાવ્યું કે 769 ફાઇલો, ડોક્યુમેન્ટ્સ અને પેપર સીબીઆઇને હવાલે કરી દેવામાં આવ્યા છે. જેમાં કુલ એક લાખ પચાસ હજાર પેજનો સમાવેશ થાય છે. સીબીઆઇને 26 સીડી પણ સૌપવામાં આવી છે. સીબીઆઇએ 43 ફાઇલો માંગી હતી, તેમાંથી 21 સોંપી દેવામાં આવી છે. અને અન્ય 15 સીબીઆઇને સોંપવાની તૈયારી છે. બાકીની 7 ફાઇલો શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.