Corona Updates : દેશમાં 12,830 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 446 મૃત્યુ
છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 12,830 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સાથે દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,42,73,300 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 1,59,272 થઈ ગયા છે, જે 247 દિવસમાં સૌથી ઓછા છે.
Corona Updates : છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 12,830 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સાથે દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,42,73,300 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 1,59,272 થઈ ગયા છે, જે 247 દિવસમાં સૌથી ઓછા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા સોમવારના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા.
સતત 126 દિવસથી દૈનિક 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા
સોમવારની સવારે 8 કલાકે અપડેટ કરાયેલા ડેટા અનુસાર 446 મોત નોંધાયા છે, આ સાથે મૃત્યુની સંખ્યા વધીને 4,58,186 થઈ ગઈ છે. કોરોના સંક્રમણના દૈનિક કેસ સતત 23 દિવસથી 20,000ની નીચે રહ્યા છે અને હવે સતત 126 દિવસથી દૈનિક 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે.
રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.20 ટકા નોંધાયો
એક્ટિવ કેસમાં કુલ સંક્રમણના 0.46 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 બાદનો સૌથી ઓછા છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.20 ટકા નોંધાયો હતો. આ અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સાથે રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ ઝુંબેશ હેઠળ દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલ સંચિત ડોઝની સંખ્યા 106.14 કરોડને વટાવી ગઇ છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
આ સાથે રાજ્યમાં રવિવારના રોજ 20 નવા પોઝિટિવ કોવિડ19 કેસ નોંધાયા હતા. જે શનિવારના દૈનિક કેસની સરખામણીમાં 35 ટકા ઓછા છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં કુલ 641 કેસ નોંધાયા હતા. જે સપ્ટેમ્બરના 514 કેસની તુલનામાં 25 ટકા વધુ છે.
દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં માસિક કેસ 53 ટકા
સપ્ટેમ્બર માસમાં એકની સરખામણીએ ઓક્ટોબર માસમાં સાત મોત નોંધાયા હતા. જેમાં છ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાર વલસાડમાં અને એક-એક સુરત અને તાપી જિલ્લામાં નોંધાયા હતા. ઓક્ટોબરમાં ચાર મુખ્ય જિલ્લાઓમાં 60 ટકા કેસ નોંધાયા હતા. જેમાં સુરતમાં 173, અમદાવાદમાં 121, વડોદરામાં 69 અને રાજકોટમાં 22 કેસનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓમાં માસિક કેસ 53 ટકા છે, જેમાં વલસાડમાં 126 અને નવસારીમાં 43 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા પોઝિટિવ કેસમાં વડોદરા શહેરમાંથી છ, સુરત શહેરમાંથી ચાર, વલસાડમાંથી ત્રણ, અમદાવાદ શહેર અને જિલ્લામાંથી બે-બે અને જૂનાગઢ અને ભાવનગર શહેરમાં એકનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં 24 કલાકમાં 94,555 વ્યક્તિઓનું રસીકરણ નોંધાયું છે.