Coronavirus Update: દેશમાં પહેલી વાર સંપૂર્ણ વેક્સીનેટેડ લોકોની સંખ્યા સિંગલ ડોઝવાળાથી વધુ
દેશમાં હવે ફૂલ વેક્સીનેટેડ લોકોની સંખ્યા વેક્સીનનો એક ડોઝ લેનાર લોકોની સંખ્યા કરતા વધુ થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ ભારતવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં હવે ફૂલ વેક્સીનેટેડ લોકોની સંખ્યા વેક્સીનનો એક ડોઝ લેનાર લોકોની સંખ્યા કરતા વધુ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ હાલમાં ભારતમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે જેના કારણે દેશમાં 40.3 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે જ્યારે એક ડોઝ લેનારની સંખ્યામાં 40.2 ટકા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 7 વાગ્યા સુધીમાં ભારતમાં 61,21,626 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે જેમાં પહેલો શૉટ લેનાર લોકોની સંખ્યા 18.48 લાખ હતી. દેશમાં હાલમાં 75.54 કરોડ લોકોને વેક્સીનનો એક ડોઝ લગાવવામાં આવ્યો છે અને 38.07 કરોડ લોકોને બંને ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. એટલે કે માત્ર એક વેક્સીન લગાવનાર લોકોની સંખ્યા 37.47 કરોડ છે. તમને જણાવી દઈએ કે કોરોનાનુ રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયુ હતુ.
24 કલાકમાં દેશમાં કોરોનાના 10,197 નવા કેસ
તમને જણાવી દઈએ કે બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,197 નવા કેસ સામે આવ્યા છે અને 301 લોકોના મોત થયા છે. વળી, 12,134 લોકો હૉસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ 1,28,555 છે કે જે 527 દિવસોમાં સૌથી ઓછા છે. હાલમાં દેશમાં દૈનિક પૉઝિટિવીટી રેટ 0.82% અને સાપ્તાહિક રેટ 0.96% થઈ ગયો છે.
દિલ્લીમાં કોરોનાના 44 નવા કેસ
રાજધાની દિલ્લીમાં મંગળવારે કોરોનાના 44 નવા કેસ સામે આવ્યા જ્યારે કોવિડથી એક પણ મોત થયુ નથી. જો સક્રિય કેસોની વાત કરીએ તો હાલમાં દિલ્લીમાં 357 સક્રિય કેસ છે. રાજધાની દિલ્લીનો પૉઝિટિવિટી રેટ 0.08% છે.
કોવિડ દેશમાંથી હજુ ખતમ નથી થયો, સાવચેત રહો
આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ કોવિડ દેશમાંથી ખતમ થયો નથી માટે સૌએ કોરોના પ્રોટોકૉલનુ પાલન કરવુ ખૂબ જરુરી છે કારણકે નાની બેદરકારી મુસીબત બની શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં પ્રદૂષણે આતંક ફેલાવ્યો છે માટે હજુ પણ સહુએ સાવચેત રહેવાની જરુર છે. લોકોએ હંમેશા માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટંસીંગ જાળવીને રાખવુ.