PM નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરવા રાહુલ વિરુદ્ધ ફરિયાદ
રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના નેતા શલભ મણિ ત્રિપાઠીએ દેવરિયા કોર્ટમાં પીએમ નરેન્દ્ર મોદી વતી માનહાનિની ફરિયાદ નોંધાવી છે. જાણો તેવું તો શું રાહુલ ગાંધીએ કહ્યું કે જેના કારણે આમ થયું.
કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન કરવા મામલે હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે ભાજપના નેતા શલભ મણિ ત્રિપાઠીએ રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ નોંધાવ્યો છે. તમને જણાવી દઇએ કે નવી દિલ્હીમાં આયોજીત કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં રાહુલ ગાંધીએ પીએનબી કૌભાંડ મામલે નિરવ મોદી સાથે પીએમ મોદીની તુલના કરી હતી. જે પર પાછળથી વિવાદ થયો હતો. અને હવે આ મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. ભાજપના પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સંમેલનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પીએનબી કૌભાંડમાંના આરોપી નિરવ મોદી અને આઇપીએલ પૂર્વ કમિશ્નર લલિત મોદીની વચ્ચે સમાનતા કરીને પીએમ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
ત્રિપાઠીએ રાહુલ ગાંધી વિરુદ્ધ દેવરિયાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આઇપીસી કલમ 499 અને 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ મામલે સુનવણી માટે 5 એપ્રિલની તારીખ આપી છે. શલભ મણિ ત્રિપાઠીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે મોદી નામ ભષ્ટ્રાચારનો પર્યાય બની ગયો છે. રાહુલ ગાંધીએ દેશવાશીઓની અને પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓને દુખ પહોંચાડ્યું છે. આ માટે મેં તેમની વિરુદ્ઘ દેવરિયા કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અનવર હુસૈને કહ્યું કે તેમની પાર્ટી ભાજપ સરકારની ખોટી નીતિઓ અને ભષ્ટ્રાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે.