CBSEની પરીક્ષાઓ રદ કરે કેન્દ્ર સરકાર, કોરોનાથી બગડતી પરિસ્થિતિ વચ્ચે CM કેજરીવાલે ઉઠાવી માંગ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સીબીએસઈની પરીક્ષાઓ તાત્કાલિક રદ કરવામાં આવે.
નવી દિલ્લીઃ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને ગુજરાત બાદ હવે દેશની રાજધાની દિલ્લી પણ કોરોના વાયરસની બીજી લહેરની ચપેટમાં આવતી દેખાઈ રહી છે. છેલ્લા અમુક સપ્તાહમાં રાજધાનીમાં ઘણી ઝડપથી કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. સોમવારે દિલ્લીમાં કોરોના વાયરસના 11491 નવા કેસ મળ્યા. કોરોના વાયરસથી સતત બગડી રહેલ સ્થિતિ વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સીબીએસઈની પરીક્ષાઓ તાત્કાલિક રદ કરવામાં આવે.

'સંક્રમણના મોટા હૉટસ્પૉટ બની શકે છે પરીક્ષા કેન્દ્ર'
મંગળવારે સીએમ અરવિંદ કેજરીવાલે એક નિવેદન જાહેર કરીને કહ્યુ, 'દિલ્લીમાં લગભગ 6 લાખ બાળકો સીબીએસઈની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે. પરીક્ષાઓ માટે લગભગ એક લાખ શિક્ષકો પણ ફરજ બજાવશે. દેશમાં ખતરનાક રીતે સતત ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે પરીક્ષા કેન્દ્ર સંક્રમણના મોટા હૉટસ્પૉટ બની શકે છે. બાળકોની તબિયત અને તેમનુ જીવન આપણા સૌના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરુ છુ કે આ વાતોને ધ્યાનમાં રાખીને સીબીએસઈની પરીક્ષાઓ તાત્કાલિક રદ કરવામાં આવે.'

'વૈકલ્પિક રીતો વિશે વિચારે કેન્દ્ર સરકાર'
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યુ, 'સીબીએસઈની પરીક્ષાઓ માટે કોઈ વૈકલ્પિક રીતો વિશે વિચારી શકાય છે. આ વખતે આંતરિક મૂલ્યાંકન કે પછી ઑનલાઈન સિસ્ટમના આધારે બાળકોને આગલા ધોરણમાં પ્રમોટ કરી શકાય છે. પરંતુ સીબીએસઈની પરીક્ષાઓ રદ થવી જોઈએ.' તમને જણાવી દઈએ કે દિલ્લીમાં સતત વધી રહેલા સંક્રમણના કેસોને જોતા કેજરીવાલ સરકારે ફરીથી કોવિડ સેન્ટર શરૂ કરવા પર વિચાર પણ કરી રહી છે.

દિલ્લીમાં 24 કલાકની અંદર 13500 નવા કેસ
કોરોના પ્રત્યે લોકોને સાવચેત કરીને અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'કોરોના વાયરસની આ બીજી લહેર ઘણી ખતરનાક છે. જો છેલ્લા 10 દિવસથી 15 દિવસના રેકૉર્ડ જોઈએ તો કુલ સંક્રમિત દર્દીઓમાંથી 65 ટકા લોકો 45થી ઓછી વયના છે. અમને તમારા સ્વાસ્થ્ય અને જીવનની ચિંતા છે. હું બધા યુવાનોને અપીલ કરુ છુ કે માત્ર બહુ જરૂરી કામ હોય તો જ પોતાના ઘરમાંથી બહાર નીકળો અને બહાર નીકળો તો કોરોના વાયરસના નિયમોનુ પાલન કરો. કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મારી પાસે અત્યાર સુધીના રિપોર્ટ છે તે મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં 13500 નવા કેસ મળ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં કોરોના વાયરસ જ્યારે પોતાના પીક પર હતો ત્યારે 8500 કેસ મળ્યા હતા આનાથી અંદાજ લગાવી શકાય છે કે આ વખતે કોરોના વાયરસનો ખતરો કેટલો મોટો છે.'












Click it and Unblock the Notifications
