દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને ત્રણ અન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ ઘડવાનો અદાલતનો આદેશ, જાણો મામલો
અદાલતે દિલ્લી મહિલા પંચ(ડીસીડબ્લ્યુ)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને ત્રણ અન્ય સામે ભ્રષ્ટાચાર તેમજ ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્લીઃ અદાલતે દિલ્લી મહિલા પંચ(ડીસીડબ્લ્યુ)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને ત્રણ અન્ય સામે ભ્રષ્ટાચાર તેમજ ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે. આ મામલે સ્વાતિ માલીવાલ ઉપરાંત ત્રણ અન્ય આરોપી છે જેમાં મહિલા પંચના પૂર્વ સભ્ય પ્રોમિલા ગુપ્તા, સારિકા ચૌધરી અને ફરહીન મલિક સામેલ છે. વિશેષ જજ ડીજી વિનય સિંહની બેંચે ગુરુવારે કહ્યુ કે ચારે સામે કેસ ચલાવવાના પૂરતા પુરાવા છે. બધા પર પદનો દુરુપયોગ કરીને પંચમાં આપ કાર્યકર્તાઓની નિયુક્તિનો આરોપ છે.

કોર્ટે અવલોકન કર્યુ કે વિવિધ તારીખો પર યોજાયેલી ડીસીડબ્લ્યુની મીટિંગની કાર્યવાહીના અવલોકનથી સ્પષ્ટ છે કે ચારેય આરોપીઓએ સહી કરી હતી. જેમ કે, પ્રાથમિક દૃષ્ટિએ મજબૂત શંકા દર્શાવવા માટે પૂરતા પુરાવા છે કે વિચારાધીન નિમણૂકો આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. માલીવાલ સિવાયના ત્રણ આરોપીઓમાંથી કોઈએ ક્યારેય ગેરકાયદેસર નિમણૂકો સામે વાંધો ઉઠાવ્યો નથી અથવા અસંમતિની કોઈ નોંધ આપી નથી.
કોર્ટે વધુમાં જણાવ્યુ હતુ કે સંજોગો પ્રથમ દૃષ્ટિએ આરોપી વ્યક્તિઓ વચ્ચે આવા ષડયંત્રનો સંકેત આપે છે. કોર્ટે ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 120-B (ગુનાહિત કાવતરુ) અને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 13(1)(d) (જાહેર સેવક દ્વારા ગુનાહિત ગેરવર્તણૂક) હેઠળ આરોપીઓ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો.
ડીસીડબ્લ્યુના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય બરખા શુક્લા સિંહની ફરિયાદ પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોએ કેસ નોંધ્યો હતો. ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે 6 ઓગસ્ટ, 2015 અને ઓગસ્ટ 1, 2016 વચ્ચે DCWમાં 90 નિમણૂકો કરવામાં આવી હતી. તેમાંથી 71 લોકોની કૉન્ટ્રાક્ટ પર નિમણૂક કરવામાં આવી હતી જ્યારે 16 લોકોની 'ડાયલ 181' કટોકટી હેલ્પલાઇન માટે નિમણૂક કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
