શું માત્ર કહેવા માટે સૌથી સુરક્ષિત છે દેશની તિહાર જેલ?
નવી દિલ્હી, 11 માર્ચઃ દેશને હચમચાવી નાખનાર દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપી રામ સિંહે આજે જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના એશિયાની સૌથી મોટી અને દેશની સૌથી સુરક્ષિત જેલમાં ઘટી છે. રામ સિંહ તિહાર જેલના બેરક નંબર 3ના વોર્ડ નંબર 5નો કેદી હતો. રામ સિંહની આત્મહત્યાએ તિહારની સુરક્ષા અને તેની કાર્યપ્રણાલીના દાવાઓને ખોટા સાબિત કરી દીધા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તિહાર જેલની અંદરથી જે સમાચારો આવ્યા છે, તેને જોતા એવું કહી શકાય છે કે, તિહાર માત્ર નામનું તિહાર રહી ગયું છે.
આ બે મામલાઓ છે જે એ વાત સામે પ્રશ્નો ઉઠાવવા માટે પુરતા છેકે, એક ગંભીર મામલાનો મુખ્ય આરોપી જેલમાં આત્મહત્યા કરી લે છે અને એક નેતા તિહાર જેલમાંથી જનસભાને મોબાઇલ ફોન પર સંબોધિત કરી દે છે તો પછી તિહારનો અર્થ શું છે? શું તિહાર માત્ર નામની મોટી છે? તમને કદાચ માલુમ હશે કે વર્ષ 2012માં દિલ્હીની ડિફેન્સ કોલોની સ્થિત એક એટીએમ મશીનમાંથી કેશ લૂટવાનું ષડયંત્ર પણ તિહાર જેલની અંદર જ રચવામાં આવ્યું હતું. તપાસ બાદ આ વાતનો ખુલાસો દિલ્હી પોલીસે જ કર્યો હતો. પોલીસની વાત માનીએ તો ધરપકડ કરાયેલા આરોપી દીપક શર્માએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ અને તેનો મોટો ભાઇ હરી, કિશન બિલ્લૂ નામના ગેંગસ્ટરને તિહાર જેલમાં મળ્યો હતો, જે મકોકા હેઠળ બંધ છે. આ તમામે કેશ લૂટવાની યોજના જેલમાં બનાવી હતી.
વર્ષ 2012થી અત્યાર સુધીમાં 18 આત્મહત્યા
તિહારમાં આત્મહત્યાનો આ પહેલો બનાવ નથી. ગત એક વર્ષની વાત કરવામાં આવે તો કુલ 18 કેદીઓએ મોતને ગળે લગાવી છે. ગત વર્ષે અહીં 16 કેદીઓએ આત્મહત્યા કરી હતી જ્યારે બે કેદીઓએ આ વર્ષે આત્મહત્યા કરી છે. તિહાર જેલમાં આત્મહત્યાની ઘટનાઓ પર કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ પ્રકારના બનાવમાં મજિસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં આ બનાવોને અટકાવવા માટેને કોઇ કડક પગલાં લેવાયા નથી. તિહાર જેલની ક્ષમતા નહ હજાર કેદીઓની છે જ્યારે તેમાં હાલ 14 હજાર કેદીઓ છે. તેમાં 500 મહિલા કેદીઓ પણ છે. નોંધનીય છે કે 1958માં સ્થાપના થયા બાદ તિહાર જેલ અનેક ખાસ કેદીઓના કારણે હંમેશા ચર્ચામાં રહી છે.