દિલ્હી ગેંગ રેપની પીડિતાના દિલ્હીમાં જ અંતિમસંસ્કાર કરાયા
પીડિતાનાં પાર્થિવ દેહને એર ઈન્ડિયાના ખાસ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. આઈજીઆઈ એરપોર્ટ ખાતે વિમાન લેન્ડ થયા બાદ તેને ટેકનિકલ એરિયામાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાં પાર્થિવ દેહને સ્વીકારવા માટે વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ખાસ હાજર રહ્યા હતા. વડાપ્રધાન અને સોનિયા ગાંધીએ વિમાનમાં આવેલા મૃતક પીડિતાનાં પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને તેમને સાંત્વન આપ્યું હતું.
ત્યારબાદ મૃતદેહને યુવતીનાં નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ધાર્મિક વિધિઓ કરાઈ હતી અને ત્યારબાદ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં દિલ્હી પોલીસ તથા આરએએફના જવાનોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા હતા.
અંતિમ સંસ્કાર વખતે સ્મશાનભૂમિમાં કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન આર.પી.એન. સિંહ, પશ્ચિમ દિલ્હીના સંસદસભ્ય મહાબલ મિશ્રા, દિલ્હી ભાજપ એકમના પ્રમુખ વિજેન્દર ગુપ્તા પણ હાજર હતા. સ્મશાનભૂમિમાં મીડિયાકર્મીઓને હાજર રહેવા દેવામાં આવ્યા નહોતા.
એર ઈન્ડિયાનું ખાસ વિમાન સવારે લગભગ 3.30 વાગ્યે દિલ્હી આવી પહોંચ્યું હતું. ભારત સરકારે મોકલાવેલા ચાર્ટર્ડ વિમાનમાં પીડિતાનાં પરિવારજનો હતા જેઓ છોકરીને અત્યંત નાજુક હાલતમાં દિલ્હીથી સિંગાપોર મોકલવામાં આવી ત્યારથી એની સાથે જ હતા.