'MCD ચૂંટણી AAP જીતી તો બધાને અયોધ્યા ફેરવશુ', રોડ શો દરમિયાન સીએમ કેજરીવાલે કર્યુ મોટુ એલાન
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો આપ દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી જીતશે તો બધાને અયોધ્યા ફેરવવામાં આવશે.
MCD Election: દેશમાં હાલમાં ગુજરાત વિધાનસભા અને દિલ્લીની એમસીડી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયેલુ છે. દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. મતદાન માટે હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. એમસીડી ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ એક મોટી ચૂંટણીની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે જો આપ દિલ્લી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી જીતશે તો બધાને અયોધ્યા ફેરવવામાં આવશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે દિલ્લીમાં ચૂંટણી રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ કે ગત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ જે રીતે રામેશ્વરમ ફરવા લઈ જવામાં આવ્યા હતા. એ જ રીતે એમસીડી ચૂંટણી જીતવા પર દરેકને અયોધ્યા લઈ જવામાં આવશે. રોડ શો દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ભાજપ એક વીડિયો કંપની બની ગઈ છે. ભાજપ સવારે ગીત અને ડાન્સ વિના ફિલ્મ રિલીઝ કરે છે પરંતુ સાંજ સુધીમાં ફ્લોપ થઈ જાય છે. કેજરીવાલનો ભાજપ પર હુમલો જેલમાં બંધ આપ નેતા સત્યેન્દ્ર જૈનના વીડિયોને લઈને હતો.
કેજરીવાલ અહીં અટક્યા નહિ. તેમણે કહ્યુ કે ભાજપ હંમેશા મને ગાળો આપે છે. તેમણે કહ્યુ કે મને ગાળો આપવાથી દિલ્લીનો કચરો સાફ નહિ થાય. આ સાથે કેજરીવાલે એમ પણ કહ્યુ કે દિલ્લીમાં ભાજપે કોઈ કામ જ કર્યુ નથી. આ જ કારણ છે કે દિલ્લી કચરાનો ઢગલો બની ગયુ છે. તમને જણાવી દઈએ કે દિલ્લી એમસીડી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે દિલ્લી એમસીડીની ચૂંટણી ત્રિકોણીય હોય તેવુ લાગી રહ્યુ છે કારણ કે ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.