દિલ્લી પોલીસ આજે કરશે જેકલીન ફર્નાંડિસની પૂછપરછ
ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આજે દિલ્લી પોલીસની આર્થિક ગુના શાખાની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.
નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આજે દિલ્લી પોલીસની આર્થિક ગુના શાખાની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્લી પોલીસની ટીમ આજે આ તપાસ કરશે. રિપોર્ટ અનુસાર દિલ્લી પોલીસની ટીમ આજે સવારે 11 વાગ્યે જેકલીનની પૂછપરછ કરશે. આ તપાસ મંદિર માર્ગ પરની ઑફિસમાં કરવામાં આવશે. જેકલીનને સોમવારે બોલાવવામાં આવી હતી અને પૂછપરછમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યુ હતુ. જો કે સોમવારે આ પૂછપરછ થઈ શકી ન હતી પરંતુ આજે દિલ્લી પોલીસની ટીમ ફરી એકવાર જેકલીનની પૂછપરછ કરશે.
સોમવારે પૂછપરછ માટે જોડાયા પછી જેક્લિને તેને વધુ મુલતવી રાખવાની અપીલ કરતો મેલ લખ્યો જેને પોલીસે સ્વીકારી લીધો. ત્યારબાદ તેને નવેસરથી સમન્સ જાહેર કરવામાં આવ્યુ હતુ. નોંધનીય છે કે આ પહેલા પોલીસ ટીમે નોરા ફતેહીની પણ પૂછપરછ કરી હતી. નોરા ફતેહીએ પૂછપરછ દરમિયાન કબૂલ્યુ છે કે તેણે સુકેશ ચંદ્રશેખર પાસેથી ભેટ લીધી હતી. સૂત્રોનુ માનીએ તો સમન્સમાં એવુ કહેવામાં આવ્યુ છે કે જેકલીનને કહેવામાં આવ્યુ છે કે તમારી લાંબી પૂછપરછ થઈ શકે છે. તેથી તમે બે દિવસનો સમય લઈને આવો, સાથે જ દિલ્હીમાં રહેવાની તૈયારી કરો.