Delhi Blast: બ્લાસ્ટના 4 મિનિટ પહેલા કાર 3 કલાક સુધી મસ્જિદ પાસે ઊભી હતી, સામે આવી મહત્વની જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો, વિસ્ફોટક ભરી કાર સુનહેરી મસ્જિદની પાર્કિંગમાં 3 કલાક 29 મિનિટ ઊભી રહી, 5 માલિકો અને નકલી દસ્તાવેજોનું ગૂંચવણભર્યું કનેક્શન.

દેશની રાજધાની દિલ્હીને હચમચાવી દેનારા લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભીષણ કાર વિસ્ફોટની તપાસમાં દિલ્હી પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે, અને તપાસ એજન્સીઓ વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવાયેલી કારના માલિકોની જટિલ શૃંખલાને ખંખોળી રહી છે, જેના તાર ગુરુગ્રામથી લઈને જમ્મુ-કાશ્મીરના પુલવામા સુધી ફેલાયેલા છે.
મસ્જિદની પાર્કિંગમાં 3 કલાક સુધી ઊભી હતી કાર
દિલ્હી પોલીસની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે વિસ્ફોટમાં વપરાયેલી હ્યુન્ડાઇ i20 કાર (HR 26 7624) સુનહેરી મસ્જિદ (Sunehri Masjid) પાસેની પાર્કિંગમાં શંકાસ્પદ રીતે લાંબા સમય સુધી ઊભી હતી.
પોલીસના મતે, કાર બપોરે 3:19 વાગ્યે પાર્કિંગમાં દાખલ થઈ અને સાંજે 6:48 વાગ્યે બહાર નીકળી.
માત્ર 4 મિનિટ પછી, સાંજે 6:52 વાગ્યે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર તેમાં જોરદાર વિસ્ફોટ થયો.
પોલીસનો અંદાજ છે કે આ 3 કલાક 29 મિનિટના સમયગાળા દરમિયાન જ કારમાં વિસ્ફોટક સામગ્રી લોડ કરવામાં આવી હતી અથવા ડેટોનેટરને સક્રિય કરવામાં આવ્યું હતું.
5 માલિકો અને નકલી દસ્તાવેજોનું કાવતરું
વિસ્ફોટક કારના કુલ 5 માલિકોની જટિલ શૃંખલા સામે આવી છે. તપાસમાં જણાયું છે કે ગુરુગ્રામના મોહમ્મદ સલમાનથી શરૂ થયેલી આ કાર નકલી દસ્તાવેજો દ્વારા નદીમ, એક કાર ડીલર, પુલવામા નિવાસી તારિક અને અંતે મુખ્ય શંકાસ્પદ આતંકવાદી ઉમર સુધી પહોંચી હતી. કારના માલિકી હક્કને છુપાવવા અને આતંકી કાવતરાના તારને તોડવા માટે સમગ્ર પ્રક્રિયામાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પુલવામા કનેક્શન અને આતંકી ઉમર
આ કાર બ્લાસ્ટનું કનેક્શન જમ્મુ-કાશ્મીરના પુલવામા સાથે પણ જોડાયું છે. પોલીસે કારના પ્રથમ માલિક સલમાન અને પુલવામા નિવાસી તારિક બંનેને કસ્ટડીમાં લીધા છે. તારિકની પૂછપરછમાં આમિર અને મુખ્ય શંકાસ્પદ ઉમરનું નામ સામે આવ્યું છે. તપાસ એજન્સીઓ હવે આ 'કાશ્મીર કનેક્શન'ની ઊંડાણપૂર્વક છાનબીન કરી રહી છે.
CCTV ફૂટેજથી ખુલી રહ્યાં છે રહસ્યો
દિલ્હી પોલીસની તપાસમાં CCTV ફૂટેજ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફૂટેજ દ્વારા સ્પષ્ટ થયું છે કે આતંકવાદી કારમાં એકલો હતો. પોલીસે 100થી વધુ CCTV ક્લિપ્સ અને આસપાસના ટોલ પ્લાઝાના ફૂટેજ તપાસીને આતંકવાદીના સમગ્ર રૂટ મેપને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.
PM મોદીનું કડક નિવેદન
PM નરેન્દ્ર મોદીએ ભૂટાન પ્રવાસ દરમિયાન દિલ્હી કાર બ્લાસ્ટ પર દુઃખ વ્યક્ત કરીને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, "આ ષડયંત્ર પાછળના લોકોને છોડવામાં નહીં આવે, અને તમામ દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે." PM મોદીએ જણાવ્યું કે તેઓ આખી રાત તપાસ એજન્સીઓના સંપર્કમાં હતા.












Click it and Unblock the Notifications
