રાજનાથના રાત્રિભોજમાં મોદી અને અડવાણીનો મનભેદ દૂર થયો?
નવી દિલ્હી, 30 ઓગસ્ટ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુરુવારે રાત્રે નવી દિલ્હી ખાતે પાર્ટીના સાંસદો માટે યોજેલા એક રાત્રિ ભોજમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્ટાર અતિથિ હતા. આ ભોજન દરમિયાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી એક જ ટેબલ પર બેઠા હતા. બંને એક બીજા સાથે ઉત્સાહપૂર્વક વાત કરતા જોવા મળ્યા હતા.
પાર્ટીના સાંસદો માટે ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા વાર્ષિક રાત્રિભોજમાં મોદી એક માત્ર વિશેષ અતિથિ હતા. આ સમારંભમાં નરેન્દ્ર મોદી વહેલા પહોંચી ગયા હતા અને આવનારા સાંસદોની સાથે ખુશીથી મળીને વાતો કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ એલ કે અડવાણી લોકસભામાં જમીન સંપાદન ખરડા પર મતદાનમાં ભાગ લઇને રાત્રે 10 વાગ્યા બાદ ભોજન સમારંભમાં પહોંચ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે તેઓ નરેન્દ્ર મોદી સાથે એક જ ટેબલ પર બેઠા હતા. તેઓ ભાજપની ચૂંટણી સમિતીના અધ્યક્ષ મોદીની બિલકુલ બાજુમાં જ બેઠા હતા. બંને એક બીજા સાથે ખુલીને વાતચીત કરતા નજરે પડ્યા હતા. આ ટેબલ પર સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી પણ બેઠા હતા.
આ દ્રશ્ય જોઇને ઘણા લોકો કહી રહ્યા છે કે રાજનાથ સિંહની ડિનર ડિપ્લોમસી નરેન્દ્ર મોદી અને અડવાણીના મનભેદને દૂર કરવામાં કામ કરી ગઇ છે. જો કે આ વાસ્તવિકતા છે કે માત્ર દેખાડો તે આગામી સમયમાં વધારે સ્પષ્ટ થઇ શકશે.