દિલ્હી લિકર પોલિસી મુદ્દે દિલ્હી અને પંજાબમાં EDના દરોડા, કેજરીવાલે ગંદી રાજનીતિ ગણાવી!
દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દિલ્હી અને પંજાબમાં ત્રણ ડઝન સ્થળો પર દરોડા પાડ્યા છે. શુક્રવારે ઈડીએ આ કાર્યવાહી શરૂ કરી છે.
નવી દિલ્હી : દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દિલ્હી અને પંજાબમાં ત્રણ ડઝન સ્થળો પર દરોડા પાડ્યા છે. શુક્રવારે ઈડીએ આ કાર્યવાહી શરૂ કરી છે. ઈડીના આ દરોડા મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈની એફઆઈઆરના આધારે છે. આ મામલામાં બંને કેન્દ્રીય એજન્સીઓએ અત્યાર સુધીમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે.
શુક્રવારે શરૂ થયેલા દરોડા બાદ અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, ઘણા અધિકારીઓનો સમય તેમની ગંદી રાજનીતિ માટે બરબાદ થઈ રહ્યો છે.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, 500 થી વધુ દરોડા, 3 મહિનાથી 300 થી વધુ CBI/ED અધિકારીઓ એક મનીષ સિસોદિયા વિરુદ્ધ પુરાવા શોધવા માટે 24 કલાક રોકાયેલા છે. કશું શોધી શક્યા નથી. કારણ કે કશું કરવામાં આવ્યું જ નથી. આટલા બધા અધિકારીઓનો સમય તેમની ગંદી રાજનીતિ માટે વેડફાઈ રહ્યો છે. આવો દેશ કેવી રીતે આગળ વધશે?
અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં આરોપી છે. આ મામલામાં તપાસને લઈને ભાજપે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. જો કે, કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય AAP નેતાઓએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
વળતા પ્રહારમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભાજપ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે ઘણી વિપક્ષી પાર્ટીઓ સાથે આ કામ કર્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના આદેશને લાગુ કરવામાં સરકારની કથિત નિષ્ફળતા અંગે તપાસના આદેશ આપ્યા હતા.