ઈલેક્શન કમિશન સ્વતંત્ર અને ન્યાયી રીતે ચૂંટણી કરાવે-સિદ્ધારમૈયા

બેંગ્લોર : ઈલેક્શન પંચ દ્વારા કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણીની તારીખો જાહેર થતા હવે રાજનીતિ પર ગરમ થઈ ગઈ છે. હવે તમામ ઘટનાક્રમ વચ્ચે હવે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ચૂંટણી પંચને સલાહ આપી છે. કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ચૂંટણી પંચની કામગીરી પર સંદેહ કરતા કહ્યું કે, ચૂંટણી પંચે ચૂંટણી સ્વતંત્ર અને ન્યાયી રીતે કરાવવી જોઈએ.
ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે હવે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈએ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત વચ્ચે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અમારી પાર્ટીના ધારાસભ્યોને ફોન કરીને સીટો ઓફર કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કોંગ્રેસ દાવો કરી રહી છે કે તેની સ્થિતિ મજબૂત છે તો તેઓ અમારા ધારાસભ્યોને કેમ બોલાવે છે. કોંગ્રેસની સાચી સ્થિતિ જાણવા આ પૂરતું છે.
આ મુદ્દે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, અમે ઈચ્છીએ છીએ કે આ સરકારને બરખાસ્ત કરવામાં આવે. ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય અને દેશ માટે આ ચૂંટણી હશે. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને પીએમ મોદીએ તેને પ્રોત્સાહન આપ્યું, તેમણે પોતાની પાર્ટીના નેતાઓ સામે કોઈ પગલાં લીધા નથી.
અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણમાં કર્ણાટક એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં છે. 2018ની ચૂંટણીમાં ભાજપ 224 સભ્યોની વિધાનસભામાં 104 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. બીજી તરફ કોંગ્રેસે 80 બેઠકો અને જનતા દળ (સેક્યુલર)ને 37 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને JD(S) એ ગઠબંધન સરકાર બનાવી હતી. જુલાઈ 2019 માં કોંગ્રેસ-JD(S)ના કેટલાક ધારાસભ્યો દ્વારા બળવો કરતા ગઠબંધન સરકાર પડી ગઈ અને બીજેપીએ સરકાર બનાવી.












Click it and Unblock the Notifications
