ઉત્તર પ્રદેશની ભાજપ સરકારમાં કોને મળશે મંત્રી પદ?
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના નામ અંગે હજુ પણ સસ્પેન્સ છે, મંત્રીમંડળમાં કયા-કયા નામનો સમાવેશ થશે એ અંગે પણ ચર્ચાનો વિષય છે.
વર્ષ 2014 બાદ વર્ષ 2017માં પણ મોદી લહેરમાં વિરોધી દળના ઉમેદવારોનો સફાયો થયો છે. કોઇને આશા નહોતી કે ઉત્તર પ્રદેશ માં ભાજપ ને પ્રચંડ બહુમત મળશે. ઉત્તર પ્રદેશમાં 300થી વધુ બેઠકો પર કબજો જમાવીને ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. રવિવારે ભાજપના સંસદીય દળની બેઠક યોજાનાર છે, જેમાં યુપીના મુખ્યંમત્રી અંગે નિર્ણય લેવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના નામ અંગે હજુ પણ સસ્પેન્સ છે, મંત્રીમંડળમાં કયા-કયા નામનો સમાવેશ થશે એ અંગે પણ ચર્ચાનો વિષય છે. મુખ્યમંત્રી પદ માટે સંભાવિત નામ પર એક નજર નાંખીએ.
સંગીત સોમ
વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં મુઝફ્ફરનગરમાં થયેલાં તોફાનો સમયે ચર્ચમાં આવેલા સંગીત સોમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. સંગીત સોમની છબી હિંદુવાદી નેતા તરીકેની છે. મેરઠની સરધના બેઠક પરથી ધારાસભ્ય સંગીત સોમે સપાના અતુલ પ્રધાનને 21,625 મતથી હરાવીને જીત મેળવી છે. ભાજપ તેમને મંત્રી બનાવી ઉત્તર પ્રદેશના પશ્ચિમી વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરે એવું બને.
પંકજ સિંહ
ગૃહ મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહએ નોઇડામાં સપાના સુનીલ ચૌધરીને 1,04,016 મતથી હરાવીને જીત મેળવી છે. પંકજ સિંહ ખાસ કરીને યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે. છેલ્લા 15 વર્ષોથી તેઓ ભાજપ માટે કામ કરી રહ્યાં છે. શહેરી ક્ષેત્રોમાં યુવાઓને આકર્ષિત કરવા માટે ભાજપના પંકજ સિંહને મંત્રી પદ સોંપે એવું બને.
શ્રીકાંત શર્મા
મથુરા વિધાનસભા બેઠકથી વિજયી થયેલાં શ્રીકાંત શર્માએ કોંગ્રેસના પ્રદીપ માથુરને એક લાખથી પણ વધુ મતથી હરાવ્યા છે. શ્રીકાંત શર્મા કેન્દ્રિય નેતૃત્વની નજીક હોવાનું મનાય છે. પ્રખર વક્તાના રૂપમાં ઓળખાતા શ્રીકાંત શર્માને યુપીના મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. એવી પણ ચર્ચા છે કે તેમને કેબિનેટ સ્તરના મંત્રીનું પદ આપવામાં આવે.
સિદ્ધાર્થ નાથ સિંહ
ઇલાહાબાદ શહેરમાં પશ્ચિમની બેઠક પરથી સિદ્ધાર્થ નાથ સિંહે મોટી જીત મેળવી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ નજીક મનાય છે. સિદ્ધાર્થે ધારાસભ્ય પૂજા પાલને તે પછાડ્યા જ અને સાથે જ ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ ઋચા સિંહને પણ પરાસ્ત કર્યા. યુપીના મંત્રીમંડળમાં તેમનું સ્થાન નક્કી છે.
સ્વાતિ સિંહ
ભાજપના નિષ્કાસિત નેતા દયાશંકર સિંહના પત્ની સ્વાતિ સિંહે લખનઉના સરોજની નગર બેઠક પર સપાના અનુરાગ યાદવને હરાવીને વિજય મેળવ્યો છે. દયાશંકર સિંહે બસપા પ્રમુખ માયાવતી પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ સ્વાતિ સિંહનું નામ ચર્ચામાં આવ્યું હતું. બસપા સમર્થકોએ સ્વાતિ સિંહ પર કરેલી અભદ્ર ટિપ્પણી બાદ સ્વાતિએ આ મુદ્દે માયાવતીને સુદ્ધાંને બેકફુટ પર લીધા હતા. યુપીના મંત્રીમંડળમાં મહિલા ચહેરાના રૂપમાં ભાજપ તેમનો સમાવેશ કરે એવી શક્યતા છે.
રીતા બહુગુણા જોશી
કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયેલા રીતા બહુગુણા જોશીને મુલાયમસ સિંહ યાદવના નાના વહુ અપર્ણા યાદવને હરાવીને શાનદાર જીત મેળવી છે. રીતા બહુગુણા જોશી ઘણા લાંબા સમયથી ટીવી ડિબેટમાં પુર જોશથી કોંગ્રેસનો પક્ષ ખેંચતા હતા. ચર્ચા છે કે તેમના રાજકારણના અનુભવનો લાભ લેવા માટે ભાજપ તેમને મંત્રી પદ આપી શકે છે.
નંદ ગોપાલ નંદી
ઇલાહાબાદ શહેરની દક્ષિણ સીટ પરથી નંદ ગોપાલ નંદીએ કમળને જીત અપાવી છે. નંદીએ લગભગ 28 હજાર મતના ભારે અંતર સાથે સપાના ધારાસભ્ય પરવેઝ અહમદને હરાવ્યા છે. બસપા છોડીને ભાજપમાં જોડાયેલા નંદીની વેપારીઓ પર સારી પકડ મનાય છે. એક લોકપ્રિય ચહેરાના રૂપમાં ભાજપના મંત્રીમંડળમાં તેમને સ્થાન મળી શકે છે.
અજીત પાલ ત્યાગી
ગાઝિયાબાદની મુરાદાબાદ બેઠક પરથી બસપા ઉમેદવાર સુધન રાવતને હારાવીને પહેલીવાર ધારાસભ્ય બનનાર અજીત પાલ ત્યાગી દિગ્ગજ નેતા રાજપાલ ત્યાગીના પુત્ર છે. રાજપાલ ત્યાગી યુપીની ઘણી સરકારોમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યાં છે. તેમના પિતા રાજપાલ ત્યાગીનું સમાજમાં સારું માન છે, જેનો લાભ ભાજપને મળી શકે છે. આથી મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે.
સ્વામી પ્રસાદ મૌર્ય
બસપા છોડીને ભાજપમાં જોડાયેલા સ્વામી પ્રસાદ મૌર્ય ખૂબ દિગ્ગજ નેતા મનાય છે. મૌર્ય બસપામાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યાં છે. મૌર્ય બસપા છોડી ભાજપમાં આવતા બસપાને મોટો ફટકો પડ્યો હતો. પડરૌના બેઠક પરથી બસપાના જાવેદ ઇકબાલને હરાવીને સ્વામી પ્રસાદ મૌર્યએ જીત મેળવી હતી.
ગરિમા સિંહ
રોયસ ફેમિલિ સાથે જોડાયેલાં ગરિમા સિંહ સપાના કેબિનેટ મંત્રી અને ગેંગરેપના આરોપી ગાયત્રી પ્રજાપતિને હરાવીને અમેઠી વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો છે. અમેઠી જિલ્લો ગાંધી પરિવાનો ગઢ માનવામાં આવે છે. અહીંના સાંસદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. એવામાં કોંગ્રેસને એમના જ ગઢમાં માત આપવા માટે ભાજપ ગરિમા સિંહને મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે.
આશુતોષ ટંડન
ભાજપના દિગ્ગજ નેતા લાલજી ટંડનના પુત્ર આશુતોષ ટંડને કોંગ્રેસના અનુરાગ સિંહને હરાવીને લખનઉ ઇસ્ટ બેઠક પરથી જીત નોંધાવી છે. આશુતોષ લખનઉના એક લોકપ્રિય નેતા છે, આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. આશુતોષના પિતા લાલજી ટંડન પણ આ જ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. કહેવાઇ રહ્યું છે કે, ભાજપ આશુતોષને મંત્રી પદ આપી આ ક્ષેત્રની જનતાને ભેટ આપી શકે છે.
બ્રજેશ પાઠક
બસપા છોડીને ભાજપમાં આવેલા બ્રજેશ પાઠકને પાર્ટીએ લખનઉ સેન્ટ્રલની ટિકિટ આપી છે. બ્રજેશે સપા સરકારમાં મંત્રી રહેલા રવિદાસ મેહરોત્રાને હરાવીને જીત મેળવી છે. બ્રજેશ એક કુશળ નેતા તરીકે ઓળખાય છે. ભાજપમાં આવીને તેમણે બસપાને મોટો ઝાટકો આપ્યો હતો. તેમને પણ મંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
અહીં વાંચો