વાઘે કર્યો હુમલો, રોષે ભરાયેલા ગ્રામજનોએ ફોરેસ્ટ કર્મીઓને દોડાવી દોડાવીને ફટકાર્યા
ગામ લોકોએ ટાઇગર રિઝર્વ તરફથી આવેલી ટીમને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેમાં પશુ ચિકિત્સક ડૉ. અખિલેશ મિશ્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
મધ્યપ્રદેશમાં આવેલા વાઘ સંરક્ષણ વિસ્તારની નજીકમાં આવેલા ભાગોમાં વાઘ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. સિવનીના પેંચ ટાઇગર રિઝર્વના રૂખડ બફર જોન નજીક આવેલા ગામમાં વાઘ ઘુસી આવ્યો હતો, જે દરમિયાન વાઘે ગામલોકો પર હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ વાઘને ભગાડવા પહોંચેલા ગામલોકો પર પણ વાઘે હુમલો કર્યો હતો.
આ ઘટનાના બે કલાક બાદ પહોંચેલી વન વિભાગની ટીમ પર ગામલોકો રોષે ભરાયા હતા. ગામ લોકોએ ટાઇગર રિઝર્વ તરફથી આવેલી ટીમને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેમાં પશુ ચિકિત્સક ડૉ. અખિલેશ મિશ્રા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઇ કે, ગામલોકોને કાબુ કરવા માટે ઘટના સ્થળે પોલીસની ટીમ બોલાવાની ફરજ પડી હતી.
આ હુમલામાં એક ગ્રામજનનું મોત
વાઘ રાજ્યનો દરજ્જો મેળવનાર મધ્યપ્રદેશમાં જ્યાં વાઘનું રક્ષણ ચર્ચાનો વિષય છે, ત્યાં વાઘ વન વિસ્તારની નજીક આવેલા ગામડાઓના લોકોનું જીવન જોખમમાં છે. સિવની જિલ્લામાં થયેલી હિંસક ઘટના તેનું પરિણામ છે.
પેંચ ટાઈગર રિઝર્વના રૂખર બફર ઝોનમાંથી ભાગી ગયેલા વાઘે એક ગ્રામીણ પર હુમલો કર્યો હતો. જેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક ચુન્નીલાલ પટલે બફર ઝોનને અડીને આવેલા ગોંડેગાંવના રહેવાસી હતા. એવું કહેવામાં આવ્યું કેસ ચુન્નીલાલ તેમના ઘરની નજીક હતા, ત્યારે વાઘે તેમની હુમલો કર્યો હતો.
વાઘે અન્ય 4 ગ્રામજનોને પણ કર્યા ઘાયલ
હુમલાના સમાચાર સાંભળીને એકઠા થયેલા ગ્રામજનોએ વાઘનો પીછો શરૂ કર્યો હતો. લાકડીઓના સહારે વાઘનો પીછો કરી રહેલા ગ્રામજનો પણ હુમલાનો શિકાર બન્યા હતા. વાઘે ત્રણ-ચાર ગ્રામજનોને પંજો મારીને ઘાયલ કર્યા હતા. જેના કારણે ગામમાં ગભરાટ વધી ગયો હતો.
લોકોએ આ અંગે વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ગ્રામજનો વન વિભાગ જલ્દી આવે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વાઘનો કહેર યથાવત હતો. એક રીતે ગામમાં નાસભાગ જેવો માહોલ સર્જાઇ ગયો હતા.
વન વિભાગની ટીમ પર ઉતાર્યો ગુસ્સો
ચુન્નીલાલનું મૃત્યુ અને પછી 3-4 ગ્રામજનો પર થયેલા ખૂની હુમલાથી ગ્રામજનો રોષે ભરાયા હતા. તેમને પોતાનો આ ગુસ્સો ત્યાં પહોંચેલી વન વિભાગની ટીમ પર ઉતાર્યો હતો.
આ ટીમમાં ફોરેસ્ટ ગાર્ડ અને પેંચ ટાઈગર રિઝર્વના ડૉક્ટર્સ પણ શામેલ હતા. ગ્રામજનોએ ટીમના સભ્યોને માર માર્યો હતો અને તેમનો પીછો કર્યો હતો. ત્યારબાદ એક પછી એક તેમના વાહનોમાં તોડફોડ કરી પલટાવી દેવામાં આવ્યા હતા.
આ ઘટનામાં પશુચિકિત્સક ડૉ. અખિલેશ મિશ્રા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે ગ્રામજનો પર વન રક્ષક સારીક ખાનનો યુનિફોર્મ ફાડી નાંખવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
સ્થિતિને કાબુમાં લેવા પહોંચી પોલીસ ફોર્સ
ઉશ્કેરાયેલા ગ્રામજનોના ટોળા દ્વારા સર્જાયેલી તંગદિલીની સ્થિતિને કાબૂમાં લેવા માટે અનેક પોલીસ સ્ટેશનના પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે રોષે ભરાયેલા ગ્રામજનો સમજાવટથી સંમત ન થતાં તેમના પર હળવો બળપ્રયોગ કરીને ટોળું વિખેરાયું હતું.
વાઘના હુમલા અને ગ્રામજનોની પરેશાનીમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવા સમયે પોલીસ દ્વારા પેંચ ટાઈગર રિઝર્વના ડૉક્ટર અને ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરનારા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.