INS કલકત્તા સબમરીનમાં બ્લાસ્ટ, નૌસેના કમાન્ડરનું મોત
મુંબઇ, 7 માર્ચ: સિંધુરત્ન પનડુબ્બી અકસ્માત બાદ નૌસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. શુક્રવારે બપોર બાદ આઇએનએસ કલકત્તા નામની યુદ્ધનૌકામાં ગેસ લીકેજના લીધે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ યુદ્ધનૌકાના એન્જિનરૂમમાં થયો. મઝગાંવ ડૉક્સ લિમિટેડ (એમડીએલ)માં એક કંટેનરથી થયો ગેસ ગળતરના લીધે નૌસેનાના એક અધિકારીનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એકને ઇજા પહોંચી છે. મૃતક અધિકારીનું નામ કુંતલ વાધવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શરૂઆતી તપાસ અનુસાર, ગેસ ગણતરની ઘટના ત્યારે સર્જાઇ હતી જ્યારે નૌસેનાના જહાજનું મરામતનું કાર્ય ચાલી રહ્યું હતું.
જહાજ ટ્રાયલ પર હતું. નૌસેના અને એમડીએલના અધિકારીઓએ કાર્બન ડાયોક્સાઇડ ગેસના ગળતરની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે આ સબંધમાં અન્ય જાણકારીઓની રાહ જોવામાં આવી રહી છે. એમડીએલ જહાજ બનાવનાર દેશની અગ્રણી કંપની છે, જે નૌસેના માટે યુદ્ધનૌકાઓ, સબમરીન, ટેંકર, મુસાફરી જહાજ બનાવે છે. આ ખાનગી ક્ષેત્ર માટે પણ જહાજ બનાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર ક્લાસના યુદ્ધજહાજ આઇએનએસ કલકત્તાના એન્જિનમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમમાં કંઇક ખરાબી આવી.
તેના લીધી કાર્બન ડાયોક્સાઇડ ગેસના સિલેન્ડરના વૉલ્વમાં બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં જ અધિકારીની છાતીમાં ઇજા પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએનએસ કલકત્તાને હવે આધિકારીક યાર્ડ 701ના નામથી ઓળખવામાં આવે છે. આ દેશનું સૌથી આધુનિક મિસાઇલ ડેસ્ટ્રોયર છે. મુંબઇના મઝગાંવ ડોકયાર્ડમાં તેને અન્ય આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાનું કામ કરવામાં આવે છે. આ યુદ્ધનૌકાને જૂનમાં નૌસેનામાં સામેલ કરવાની હતી.