અંતે કેન્દ્ર સરકારમાં પણ ગુજરાતી કાર્યશૈલી લઇ આવ્યા નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : ભારતની સૌથી જુની અને પ્રતિષ્ઠત ક્લબમાં સ્થાન પામતી દિલ્હી જીમખાના ક્લબના નિયમિત મુલાકાતીઓના ચહેરાઓ પર સ્મિતનો ઝબકાર હંમેશા ચાલુ રહે છે. આ સ્મિતનું રહસ્ય શું છે તે જાણો છો? આ સ્મિતનું રહસ્ય નરેન્દ્ર મોદી છે. આપને થશે કે નરેન્દ્ર મોદી અને દિલ્હી જીમખાનાના મુલાકાતીઓને શું સંબંધ?
સંબંધ એ છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ સરકારી બાબુઓ કામ ધંધે લાગી ગયા છે. નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં પણ ગુજરાત જેવી જ કાર્યશૈલી અપનાવતા સરકારી અધિકારીઓ સરકારી કામકાજના સમયે જીમમાં આવીને અહીં તહીંની ચર્ચાઓ કરતા હતા તે બંધ થઇ ગઇ છે. હવે બપોરના સમયે દિલ્હી જીમખાનામાં સોંપો પડી જાય છે.
આ અંગે પોતાનો અનુભવ વ્યક્ત કરતા દિલ્હી સ્થિત થિંક ટેંક સેન્ટર ફોર પોલિસી ઓલ્ટરનેટિવના ચેરમેન તથા પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાના એક સમયના પૂર્વ સલાહકાર મોહન ગુરુસ્વામી બદલાયેલા માહોલથી ખુશ છે અને જણાવે છે કે 'જીમના બારમાં અધિકારીઓની થતી દરરોજની મુલાકાતો અને ખાણીપીણીની મહેફિલોને કારણે વધતા બિનજરૂરી વજન પર પૂર્ણવિરામ લાગી ગયો છે.'
આવી જ સ્થિતિ અધિકારીઓની બીજી મનપસંદ જગ્યા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર (આઇઆઇસી - IIC) ખાતે સર્જાઇ છે. ગુરુસ્વામીનું કહેવું છે કે 'હવે લંચ અવર્સ દરમિયાન આઇઆઇસી ખાતે ખાલી ટેબલ સરળતાથી મળી જાય છે. આ બદલાવ સકારાત્મક છે.
કેન્દ્રીય મંત્રાલય સાથે સંકળાયેલા એક સચિવનું કહેવું છે કે 'કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના આવ્યા પહેલા અધિકારીઓ સ્વીમિગ કે ગોલ્ફ રમવા માટે પોતાના દિવસ દરમિયાનનું કામ પુરું કરતા પહેલા ઓફિસ વહેલી છોડી દેતા હતા. હવે એ બંધ થઇ ગયું છે.'
નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ત્રણ જ મહિનામાં કેન્દ્રીય અધિકારીઓના જીવન, કામકાજ કરવાની શૈલીમાં કેવો ફેર થયો છે તેની રસપ્રદ વિગતો જાણવા માટે આગળ ક્લિક કરો...

આરામની પળો છૂમંતર થઇ
કેન્દ્રના મંત્રાલયોમાં કામ કરતા ઉચ્ચ અધિકારીઓ પહેલા આરામની પળો માણતા હતા. હોતા હૈ, ચલતા હૈ સ્ટાઇલથી કામ કરતા હતા. હવે તે બંધ થઇ ગયું છે. અધિકારીઓનું કામ એવું વધી ગયું છે કે ઓફિસ અવર્સમાં તેમના આરામની પળો છૂમંતર થઇ ગઇ છે.

5 ડે અ વીકને બદલે 6 ડે અ વીક
કેન્દ્ર સરકારમાં સત્તાવાર રીતે તો અધિકારીઓને સપ્તાહના પાંચ જ દિવસ કામ કરવાનું હોય છે. નરેન્દ્ર મોદીના આવ્યા બાદ અધિકારીઓએ પોતાના ક્લાર્ક, પ્યુન્સ અને ડ્રાઇવર્સ સાથે સપ્તાહમાં છ દિવસ એટલે કે શનિવારે પણ કામ કરવું પડે છે.

પેન્ડિંગ ફાઇલ્સનો સફાયો બોલાવ્યો
સરકારી કાર્યાલય હોય અને પેન્ડિંગ ફાઇલ્સનો ઢગલો ના હોય તો થોડું આશ્ચર્ય થાય. પરંતુ નરેન્દ્ર મોદીના આવ્યા બાદ સરકારી બાબુઓના ટેબલ પર પેન્ડિંગ ફાઇલ્સની સંખ્યા લગભગ નહીવત થઇ ગઇ છે. કારણ કે આવનારા એક સપ્તાહની તૈયારીની ફાઇલો તૈયાર નહીં કરે તો તેમના માટે મુશ્કેલી સર્જાઇ શકે છે. કારણ કે નરેન્દ્ર મોદી સવારે સાત વાગે અથવા રાત્રે 10 વાગે પણ કોઇ મુદ્દાને લઇને ફાઇલ મંગાવી શકે છે.

ખરો કે ખોટો : નિર્ણય લો
નાણા મંત્રાલયના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે રહસ્ય ખોલ્યું કે 'નરેન્દ્ર મોદી સરકારની કડક સૂચના છે કે ખરો હોય કે ખોટો કોઇ પણ મુદ્દે ત્વરિત નિર્ણય લેવાવો જોઇએ. પહેલાની સરકારમાં મારી પાસે કેબિનેટ નોટ એક મહિના સુધી રહેતી હતી, હવે ત્રણ જ દિવસમાં તે ક્લીયર કરવી પડે છે. છેલ્લા એક મહિનામાં મેં 10 કેબિનેટ નોટ ક્લીયર કરી છે. હવે બોસ (મંત્રી) પ્રવાસમાં છે તેવું બહાનું ચલાવવામાં આવતું નથી. આવા સમયે અધિકારીઓએ ઇમેઇલ દ્વારા મંજુરી લઇને ફાઇલ આગળ વધારવાની હોય છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આવી પદ્ધતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વધારી સમય ચાલી શક્યો ન હતો.'

દરેક ફોરેન ટ્રિપનો આઉટકમ રિપોર્ટ ફરજિયાત
કોઇપણ મોડેલના અભ્યાસ માટે વિદેશોમાં ઉડાઉડ કરતા અધિકારીઓ સ્વયં પોતાની વિદેશ ટ્રિપ ટાળી રહ્યા છે. કારણ કે વડાપ્રધાન કાર્યાલયે દરેક વિદેશ ટ્રિપનો આઉટકમ રિપોર્ટ માંગવોનું શરૂ કર્યું છે. આ કારણે અધિકારીઓ પોતે આઉટકમ રિપોર્ટમાં શું લખશે તે વિચારીને ટ્રિપ નક્કી કરે છે. પહેલા ફરવાનું સાધન બનેલી વિદેશ ટ્રિપ હવે બોજારૂપ બની છે. આ કારણે ગુડ્સ અને સર્વિસ ટેક્સ માટે પ્રતિનિધિ મંડળ પહેલા ચીન અને રશિયાના પ્રવાસે જવાનું હતું. હવે પ્રવાસ માત્ર ચીન સુધી મર્યાદિત રાખ્યો છે અને ઓછામાં ઓછા પ્રતિનિધિઓ સાથે ઓછામાં ઓછા દિવસનો પ્રવાસ સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવ્યો છે.

ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ પાર્ટીઓ થઇ બંધ
પહેલા અવારનવાર પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હતું. હવે અધિકારીઓ પાર્ટીઓના આયોજનો ટાળી રહ્યા છે. કારણ કે PMOમાંથી ગમે ત્યારે કોઇ પણ પ્રકારનો આડંબર દેખાડવા સામે વાંધો ઉઠાવવામાં આવે છે.

અધિકારીઓને ગુજરાતની કાર્યશૈલી સામે ફરિયાદ છે?
ગુજરાતી સ્ટાઇલની કાર્યશૈલી માટે અધિકારીઓને વાંધો છે પણ અને નથી પણ. વાંધો એટલા માટે કે તેમનું કામ વધી ગયું છે. પરંતુ વાંધો નથી એટલા માટે કારણ કે આ શૈલીથી તેમને કામ કરવાની નવી સત્તા મળી છે. કારણ કે કોઇપણ કામ માટે તેઓ સીધા વડાપ્રધાન સાથે વાત કરી શકે છે. આ સવલત જુનિયર લેવલના અધિકારીઓને પણ પ્રાપ્ત થઇ છે. જેમ કે વિદેશ સચિવ સુજાતા સિંહ અને ગૃહ સચિવ અનિલ ગોસ્વામી સીધા નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરે છે.

ડેડલાઇન પર કામ કરવાનો આગ્રહ
નરેન્દ્ર મોદી સરકારે ડેડલાઇન પર કામ કરવાનો આગ્રહ રાખ્યો છે. આ કારણં બેઠકોની સંખ્યા વધી ગઇ છે. કર્મચારીઓની હાજરી વધવાને કારણે ફાઇલ્સ ઝડપથી ક્લીયર થાય છે. પીએમઓમાં દરેક કર્મચારીની હાજરી અને સમયપાલન યુનિક બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમથી થાય છે. રીયલ ટાઇમ ડેટા અપડેશન સાથે પીએમઓમાં સતત કર્મચારીઓ પર નજર રાખવામાં આવે છે.

કામની જગ્યા રાખો ચોખ્ખીચણાક
નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી છે. આ માટે તમામ અધિકારીઓને તેમના વિભાગમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓએ તેમના કાર્યાલયમાં કચરાના કેટલા બિન્સ ક્લીયર થયા અને યોગ્ય સ્થળે નિકાલ થયો તેનો પણ ડેઇલી રિપોર્ટ તૈયાર કરવાનો રહે છે. આ રિપોર્ટ દર અઠવાડિયે પીએમઓમાં મોકલવામાં આવે છે.

આનંદીબેને પણ ગુજરાતમાં મોદી કાર્યશૈલી યથાવત રાખી
ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા છે. આમ છતાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ઉભી કરેલી કાર્યશૈલી નવા મુખ્યમંત્રી આનંદીબેને યથાવત રાખી છે. તેઓ કામમાં ઢીલાશ ચલાવી લેતા નથી. અધિકારીઓના રેઢિયાળપણાને ભુલાવી દઇને આનંદીબેન પટેલે ત્વરિત નિર્ણય લેવાને મહત્વ આપ્યું છે.












Click it and Unblock the Notifications
