કોંગ્રેસના 3 મુખ્યમંત્રી આજે G20ના ડિનરમાં નહિ જાય, ખડગેને ના બોલાવવાથી છે નારાજ
G20 Summit Dinner: કોંગ્રેસ પક્ષના વડા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત G20 ડિનર માટે આમંત્રણ ન મળવા પર કોંગ્રેસના નેતાઓ નારાજ છે. અહેવાલો મુજબ મલ્લિકાર્જુન ખડગેને ડિનર માટે આમંત્રણ ન અપાયા બાદ ત્રણ કોંગ્રેસી મુખ્યમંત્રીઓ આજના ડિનરને અવગણશે તેવી સંભાવના છે.
9 સપ્ટેમ્બરે ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત G20 ડિનરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે G20 ડિનરમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે, એમ પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું.

આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે અશોક ગેહલોત હજુ પણ પોતાના તૂટેલા અંગૂઠાથી પરેશાન છે. ડૉક્ટરોએ તેમના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભૂપેશ બઘેલે એમ પણ કહ્યું છે કે તેમની તબિયત એટલી સારી નથી કે તેઓ દિલ્હી આવી શકે. સિદ્ધારમૈયાએ પણ આવા જ કારણો આપ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય નેતાઓ ખડગેને ન બોલાવવાથી નારાજ છે.
જો કે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ ડિનરમાં હાજરી આપવા માટે દિલ્હીથી શિમલા જવા રવાના થયા છે. કોંગ્રેસના એક ટોચના નેતાએ જણાવ્યું હતું કે G20 ડિનરમાં હાજરી આપવી કે નહીં તે નક્કી કરવાનું પક્ષે "મુખ્યમંત્રીઓ પર છોડી દીધું છે".
તમને જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બરની રાત્રે G20 સમિટમાં આવેલા વૈશ્વિક નેતાઓ, મહાનુભાવો અને કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનર પાર્ટીમાં લગભગ 500 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, G-20 ડિનરમાં વિપક્ષી નેતાઓની ઓછી હાજરીની અપેક્ષા છે. વિપક્ષ શાસિત 12માંથી ઓછામાં ઓછા છ રાજ્યોના મુખ્યમંત્રીઓ અલગ-અલગ કારણોસર આ કાર્યક્રમને છોડી દે તેવી શક્યતા છે. બે ભૂતપૂર્વ વડા પ્રધાનો મનમોહન સિંહ અને એચડી દેવગૌડા પણ નાદુરસ્ત તબિયતને કારણે ડિનરમાં હાજરી આપવાના નથી.
કોંગ્રેસના ત્રણ સીએમ ઉપરાંત, બીઆરએસ નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કોઈ કારણ આપ્યું નથી પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ દાવો કર્યો છે કે તેઓ ડિનરમાં હાજરી આપશે નહીં. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી હાલમાં લંડનમાં છે અને 12 સપ્ટેમ્બરે જ પરત ફરે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
