'કેન્દ્રએ આવી લો લેવલની રાજનીતિ ના કરવી જોઈએ', જી20 ડિનરમાં આમંત્રણ ન મળવા પર બોલ્યા ખડગે
G20 Meet: રાજધાની દિલ્હીમાં જી-20 સમિટ ચાલુ છે. આ અંતર્ગત સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં તમામ રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું હતું. સમિટની કાર્યવાહી પણ શરૂ કરી. આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને રાજનીતિ ચાલી રહી છે.
આ ડિનરમાં તમામ રાજ્યના વડાઓ અને દેશની મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે તેમની પાર્ટી નારાજ થઈ ગઈ હતી. તે ભાજપ અને કેન્દ્ર પર પલટવાર કરી રહી છે.

આ મામલે મીડિયા સાથે વાત કરતા ખડગેએ કહ્યું કે હું આ અંગે પ્રતિક્રિયા આપી ચૂક્યો છું. આ અંગે મારી પાર્ટીનું નિવેદન પણ આવ્યું છે. આ સારી વાત નથી. કેન્દ્ર સરકારે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરવી જોઈએ.
કોંગ્રેસના નેતાઓએ ખડગેને આમંત્રણ ન મળવા પર વાંધો વ્યક્ત કર્યો છે. આ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે હું કલ્પના પણ કરી શકતો નથી કે કોઈપણ લોકતાંત્રિક દેશની સરકાર વિશ્વના નેતાઓ માટે આયોજિત સ્ટેટ ડિનરમાં વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ નહીં આપે. આ તે દેશોમાં જ થઈ શકે છે જ્યાં ન તો લોકશાહી છે કે ન તો વિરોધ. હું આશા રાખું છું કે ભારત એવી સ્થિતિમાં નથી પહોંચ્યું કે જ્યાં લોકશાહી અને વિપક્ષનું અસ્તિત્વ ખતમ થઈ જાય.
રાહુલ ગાંધીએ બેલ્જિયમની મુલાકાત દરમિયાન સરકારના આ નિર્ણયની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ કંઈ નવુ નથી. મોદી સરકાર દેશની 60 ટકા વસ્તીના પ્રતિનિધિઓને મહત્વ નથી આપતી. તમે વિચારો કે આવું કેમ થઈ રહ્યું છે.
કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ડિનરમાં કોઈ રાજકીય પક્ષના નેતાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં ખડગેને પણ આમંત્રણ મળ્યું નથી. માત્ર દેશના કેબિનેટ મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય સચિવો અને કેટલાક ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
