પટના, 25 એપ્રિલ : નરેન્દ્ર મોદીના વિરોધીઓને પાકિસ્તાન જતા રહેવાની ટિપ્પણી કરનારા બિહાર ભાજપના નેતા ગિરિરાજ સિંહને આગોતરા જામીન મળી ગયા છે. હેટ સ્પીચ કેસમાં પટના સિવિલ કોર્ટે ગિરિરાજ સિંહની આગોતરા જામીન અરજી મંજૂર રાખી છે. તેમણે ગુરુવારે સવારે બોકારો અને પટના પોલીસે ધરપકડ માટે પાડેલી રેડ બાદ કોર્ટમાં આ આરજી કરી હતી.
17 એપ્રિલ ગુરુવારે નરેન્દ્ર મોદીના સમર્થનમાં ભડકાઉ ભાષણ આપનારા ભાજપના નેતા ગિરિરાજ સિંહ વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર થતા ઝારખંડ પોલીસ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ ઘરે ન હતા. ત્યાર બાદ નેતાએ પટનાની એક કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે.
શહેરના એસપી જયંત કાંતે જણાવ્યું કે બોકારો પોલીસ અને પટના પોલીસની સંયુક્ત ટૂકડી બોકારો કોર્ટના આદેશના પગલે સવારે પાંચ વાગે ગિરિરાજ સિંહના ઘરે છાપો માર્યો હતો, પરંતુ તેઓ ઘરે મળ્યા નથી. તેમણે કહ્યું કે ઝારખંડ પોલીસ હાલ પટનામાં જ છે અને નેતાની ધરપકડના પ્રયાસો કરી રહી છે.
બોકારો કોર્ટે આક્રમક ભાષણ આપવાના આરોપોસર બિહારની નવાદા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ગિરિરાજ સિંહ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું. ગિરિરાજ સિંહે ઝારખંડમાં એક રેલી દરમિયાન કહ્યું હતું, મોદીના વિરોધીએએ ચૂંટણી પછી પાકિસ્તાન જવું પડશે.
ઝારખંડ પોલીસે કહ્યું કે કોર્ટમાં આત્મસમર્પણ પહેલા તેમની ધરપકડ કરવાનો પ્રયાસ થશે, જો તેઓ ફરાર રહ્યા તો કોર્ટ તેમની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય કરશે. બુધવારે તેમણે કહ્યું હતું કે તેઓ ઝારખંડ કે બિહારની કોર્ટમાં આત્મસમર્પણ કરશે.