સરકારનો ચૂંટણી દાવ, અનામત માટે ક્રીમીલેયરની આવક મર્યાદા વર્ષે 6 લાખ
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે ક્રીમી લેયરની વર્તમાન આવક સીમા વાર્ષિક 4.5 લાખ રૂપિયાથી વધારીને વાર્ષિક 6 લાખ રૂપિયા કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ પાછલી લોકસભા ચૂંટણીઓ પહેલા પણ વર્ષ 2008માં ક્રીમી લેટરની આવક મર્યાદા વાર્ષિક રૂપિયા 2.5 લાખથી વધારીને વાર્ષિક રૂપિયા 4.5 લાખ કરી હતી. કેબિનેટ સમક્ષ મૂકવામાં આવેલી દરખાસ્તમાં ક્રીમી લેયરની આવક મર્યાદા વધારીને વાર્ષિક રૂપિયા 7 લાખ કરવાની વાત રજૂ કરવામાં આવી હતી.
કેબિનેટે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી સાથે જોડાયેલા વિવિધ સ્થળોના સંરક્ષણ માટે ગાંધી સ્મૃતિ ધરોહર મિશનની રચનાને પણ લીલી ઝંડી બતાવી દીધી છે. આ મિશન ગાંધીજી સાથે સંકળાયેલા 39 મુખ્ય ધરોહરો અને 2000 અન્ય મહત્વના સ્થળોના સંરક્ષણનો રોડમેપ તૈયાર કરશે.
આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતીની બેઠકમાં ગરીબી રેખાથી નીચે રહેતા પરિવારોને રાશનની દુકાનો મારફતે અનાજ વિતરણ કરવા માટે 60 લાખ ટન વધારાનું અનાજ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2013-14 માટે 41.89 લાખ ટન ઘઉં અને 19.84 લાખ ટન ચોખાનું વિતરણ કરવામાં આવશે.
કેબિનેટે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સ્મૃતિ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય પણ કર્યો છે. ભવિષ્યમાં દેશના રાષ્ટ્રીય નેતાઓ જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે પૂર્વ વડાપ્રધાનના નિધન પર તેમનો અંતિમ સંસ્કાર આ પરિસરમાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.