કેજરીવાલનો દાવો, 8 લોકોની સામે પોલીસ પાસે કોઇ પુરાવા નથી
રવિવારે ઇન્ડિયા ગેટ પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી ઝપાઝપીમાં કોન્સ્ટેબલ સુભાષચંદ તોમર ઘાયલ થયા હતા, જેમનુ મંગળવારે અત્રેની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું છે. દિલ્હી પોલીસે આઠ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે અને તેમની સામે 307 હત્યા કરવાની કલમ લગાવી કાર્યવાહી આરંભી છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે 'દિલ્હી પોલીસે જે આઠ લોકો સામે આ કલમ લગાવી છે તેમાંથી એક આમ આદમી પાર્ટીનો કાર્યકરતા છે જેનું નામ ચમન છે, અને તે ઘણીબધી જગ્યાએ પાર્ટી માટે સક્રિય રહ્યો છે. બાકીના સાત લોકોને હું ઓળખતો નથી. પરંતુ હું દાવો કરું છું કે આ આઠેય લોકો વિરુદ્ધ પોલીસ પાસે હત્યાના કોઇ પુરાવા નથી. અને જો તેમની પાસે પુરાવા હોય અને એએપીનો કાર્યકર્તા પણ જો આ ઘટનામાં સંડોવાયેલો હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઇએ.'
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચાલતી બસમાં મેડિકલની વિદ્યાર્થિની પર થયેલા સામુહિક બળાત્કાર બાદ દિલ્હી ખાતે હજારોની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી સહિત દેશના ખુણે ખુણે ગેંગરેપનો વિરોધ થઇ રહ્યો છે અને દોષીઓને ફાંસી આપવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.