મોદીની મુશ્કેલીઓ વધી, જાસૂસી કાંડમાં તપાસ પંચને મંજૂરી
નવી દિલ્હી, 26 ડિસેમ્બર: ગુજરાતના મુખ્મયંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઇ રહ્યો છે. ગુજરાતમાં બનેલા જાસૂસી કાંડની તપાસ માટે કમિશનની રચના માટે કેન્દ્રિય મંત્રીમંડળની મંજૂરી મળી ગઇ છે. કોંગ્રેસે કથિત જાસૂસી કાંડની તપાસ માટે રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ મામલાને ગૃહમંત્રાલયને સોંપ્યો હતો. જેમાં આ કથિત યુવતીની જાસૂની તપાસ માટે પંચને મંજૂરીની મહોર વાગી ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદીના ખાસ અમિત શાહના ઇશારા પર ગુજરાતમાં કથિત રીતે એક મહિલાની જાસૂસી કરાવવામાં આવી હતી. સમાચાર અનુસાર ગુજરાત પોલીસે એક મહિલા આર્કિટેક્ટ પર ગેરકાયદેસર રીતે નઝર રાખી અને આ ક્રમમાં ફોન ટેપિંગ નિયમોનો પણ ભંગ કરવામાં આવ્યો. માહિતી અનુસાર જ્યારે આ યુવતી ઘરની બહાર જતી હતી તો કેન્દ્ર સરકારની પરવાનગી લીધા વગર જ તેના ફોન ટેપ કરવામાં આવતા હતા.
જાસૂસી કાંડની તપાસ માટે બનાવવામાં આવનાર તપાસ પંચની અધ્યક્ષતા કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ કરશે. હાલમાં આ તપાસ માટે કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ એટલું પાક્કું છે કે તપાસ પર અંતિમ અહેવાલ લોકસભા ચૂંટણી પહેલા આવી જશે.
ભાજપી નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ આને સંઘીય માળખા પર હુમલો ગણાવ્યો છે અને જણાવ્યું કે ભાજપ આ મુદ્દાને કોર્ટમાં પડકારશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે પણ આ મામલે એક તપાસ સમિતિ બેસાડી છે, જે આ કેસમાં તપાસ કરી રહી છે. આ આખી જાસૂસી ટેપને બહાર લાવનાર કોબરા પોસ્ટે વધુ એક દાવો કર્યો હતો કે તેઓ અન્ય ઘણી આવી ટેપ બહાર લાવી શકે છે, જેના થકી નરેન્દ્ર મોદીને નિકટના ભવિષ્યમાં મુશ્લેલીનો સામનો કરવો પડી શકે છે.