રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં હાર માની કહ્યું; વિપક્ષમાં બેસીશું, થર્ડ ફ્રન્ટને ટેકો નહીં
નવી દિલ્હી, 2 મે : કોંગ્રેસ પાર્ટીના નેતાઓ લોકસભા ચૂંટણી 2014માં પોતાની જે દશા થવાની છે તેનો સંકેત પામી ગયા હોય તેમ ત્રીજા મોરચા માટે માર્ગ મોકળો હોવાની વાતો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રીજા મોરચા સાથે હાથ મિલાવવાને બદલે વિપક્ષમાં બેસવાનું જણાવી રહ્યા છે. આ બાબત સૂચવે છે કે રાહુલ ગાંધી અપરોક્ષ રીતે લોકસભા ચૂંટણી 2014માં પાર્ટીની હાર જોઇ રહ્યા છે.
દિલ્હીથી પ્રકાશિત અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સને કોંગ્રેસના એક અગ્રણી કારોબારીએ રાહુલ ગાંધીના આ વિચારો જણાવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીની એવી ઇચ્છા છે કે કોંગ્રેસને જો ચૂંટણીમાં વિજય નહી મળે તો તે બીજા પક્ષોની મદદથી સરકાર બનાવવાને બદલે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે. ત્યાર બાદ તેઓ સંગઠનને નવેસરથી ઉભું કરવાનો પ્રયાસ કરશે. ચૂંટણી પછી રાહુલ ગાંધી સંગઠનમાં પણ ધરખમ ફેરફારો કરશે.
કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારીઓ અને એક પ્રધાને હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અનેક પક્ષોની મદદથી સરકાર બનાવવાના પક્ષમાં નથી આ પ્રકારના ગઠબંધન લાંબાગાળા સફળ થતા નથી, આ સ્થિતિમાં હંમેશા અસ્થિરતા જ રહે છે.
કોંગ્રેસના એક અન્ય નેતાએ જણાવ્યું હતું કે રાહુલ પાછલા અનેક પ્રસંગે કાર્યકરો સાથેની વાતચીતને એ બાબત ઉપર ભાર મુકી ચુકયા છે કે લોકસભાની ચૂંટણી પછી તેઓ સંગઠનમાં ધરખમ ફેરફારો કરશે. ખાસ કરીને એવા રાજયોમાં કે જયાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોની સામે પોતાનો આધાર ગુમાવી ચૂકી છે ત્યાં કોંગ્રેસ પક્ષ સંગઠનને નવેસરથી બેઠું કરશે.
સત્તાવાર રીતે તો કોંગ્રેસનું કહેવું છે કે તેને ચૂંટણીમાં સંપુર્ણ બહુમતી મળશે. એવામાં ત્રીજા મોરચાને સમર્થનનો કોઇ સવાલ નથી. પક્ષના સુત્રોનું માનીએ તો ટોચના નેતૃત્વએ કેટલાક નેતાઓના નિવેદનો ઉપર નાખુશી દર્શાવી છે તેમાં સલમાન ખુર્શીદનું એ નિવેદન પણ સામેલ છે કે જેમાં તેમણે થર્ડ ફ્રન્ટને સમર્થન આપવાની સલાહ આપી હતી.
કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું કહેવુ છે કે આ બાબતે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ જ લેશે. જયાં સુધી બેઠકોનો સવાલ છે તો પક્ષમાં સૌનો અલગ-અલગ વિચાર છે. એક જુથ માને છે કે કોંગ્રેસ ત્રણ આંકડાને પાર કરી શકશે નહીં. જયારે બીજુ જુથ માને છે કે 140 બેઠકો મળી શકે તેમ છે.