ભારત બંધઃ જાણો, SC/ST એક્ટને લઈને શું છે સવર્ણોની માગણી?
એસસી/એસટી એક્ટના વિરોધમાં મચ્યો હોબાળો, જાણો શું છે સમગ્ર મામલો.
એસસી/એસટી એક્ટ (એટ્રોસિટી એક્ટ)માં થયેલા સંશોધન વિરુદ્ધ ગુરુવારે 30થી વધુ સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં તેની અસર પણ જોવા મળી રહી છે. કોર્ટના નિર્ણયમાં બદલાવના વિરોધની સાથે મધ્યપ્રદેશમાં કેટલાય સંગઠનોના લોકો એમ પણ ઘોષણા કરી ચૂક્યા છે કે આગામી ચૂંટણીમાં તેઓ કોઈપણ પક્ષને વોટ નહીં આપે અને એટલું જ નહીં તેઓએ કોઈપણ પક્ષના નેતાઓને તેમના વિસ્તારમાં ન આવવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. આવું તેમણે એસસી એસટી એક્ટમાં થયેલ સંશોધનના વિરોધમાં કર્યું છે. એટલું જ નહીં કેટલાક ભાજપના નેતાઓએ પણ આ એક્ટના દુરુપયોગની ખુલીને વાત કરી છે.
21 માર્ચ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર થતા અત્યાચાર અને તેમની સાથે થતા ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી બનેલ એટ્રોસીટી એક્ટ 1989 અંતર્ગત દાખત મામલાઓમાં તુરંત ધરપકડને રોક લગાવી દીધી હતી. કોર્ટે નિર્ણય આપતા કહ્યું હતું કે આવા મામલાઓમાં માત્ર સક્ષમ ઑથોરિટીની મંજૂરી બાદ જ ધરપકડ થઈ શકશે.
કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં SC/ST એક્ટ સંશોધન કાયદાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. એટલામાં સુપ્રીમ કોર્ટનો ફેસલો પલટી ગયો. જેને લઈને કેટલાય સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યાં છે અને કેન્દ્ર સરકારના આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ફેસલાને બદલવો ન જોઈએ. વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનોના લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવો ન જોઈએ. એટલે કે આવા કેસમાં પહેલા તપાસ થાય પછી ધરપકડ થવી જોઈએ અને જો કેસ ખોટો નીકળે તો કેસ કરનારને દંડ ફટકારવો જોઈએ.
બિહારના ગયા, પટના ભોજપુર, દરભંગા સહિત વિવિધ વિસ્તારોમાં સવર્ણો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ કાયદાની વિરુદ્ધમાં નારેબાજી કરી રહ્યા છે. પોલીસ મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં એક દિવસીય ભાર બંધ દરમિયાન પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી ગયા છે. પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવી કેન્દ્રના વિરોધમાં નારા લગાવ્યા હતા. આ પણ વાંચો- બિહારના જહાનાબાદમાં પોલીસ ટીમ પર પથરાવ, એસપી ઘાયલ