મોદી સરકારની સૌ માટે ઘર ફાળવવાની યોજના કેટલીક સફળ?
મોદી સરકાર તરફથી વર્ષ 2022 સુધીમાં સૌને ઘર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
મોદી સરકાર તરફથી વર્ષ 2022 સુધીમાં સૌને ઘર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) હેઠળ અનેક હાઉસિંગ સ્કિમ જેવી કે, રાજીવ આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના વગેરેને સંકલિત કરવામાં આવી છે. આ યોજનામાં પાકા ઘરોના નિર્માણ માટે સરકાર તરફથી આપવામાં આવેલ રોકાણની અનુમતિ(આઇએવ્હાયની જોગવાઇ અનુસાર), ક્રેડિટ લિંક સબસીડિ સ્કિમ(સીએલએસએસ) અને રાજ્ય સરકાર સાથે મળીને આપવામાં આવેલ શહેરી આવાસ માટેનું ફંડ, આ સૌનો સમાવેશ થાય છે. આ સિવાય શહેરી ક્ષેત્રોમાં ઘર ખરીદનારા લોકોને પણ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક(આરઆઇએ)ના સંચાલન દ્વારા સહાયતા મળશે, જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉપભોક્તાને સંરક્ષણ આપે છે.
ગ્રામીણ આવાસ
વર્ષ 1985માં ઇન્દિરા આવાસ યોજનાની શરૂઆત થઇ હતી, જેનો હેતુ ગ્રામીણ ક્ષેત્રોમાં ઘરોના નિર્માણ અને પુનઃનિર્માણ માટે મદદ પૂરી પાડવાનો હતો. નાણાંકીય વર્ષ 2016-17માં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY)માં આ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો. વર્તમાન સમયમાં કાચા બાંધકામવાળા ઘરમાં રહેતા 1 કરોડ લોકોને સરકાર PMAY હેઠળ વર્ષ 2019 સુધીમાં પાકું ઘર ફાળવશે. સરકાર દ્વારા આ ઘરોનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ 20 વર્ગ મીટરમાંથી વધારીને 25 વર્ગ મીટર કરવામાં આવ્યું છે. આ સિવાય પરિવાર દીઠ ફાળવવાની રકમ પણ 70,000 રૂપિયાથી વધારીને 1,20,000 કરવામાં આવી છે.
યૂપીએ દ્વિતીયની સરખામણીએ એનડીએ સરકાર ઘણું સારું કામ કરી રહી છે
છેલ્લા કેટલાક વર્ષોમાં ગામડામાં ઘર-નિર્માણની સંખ્યામાં વધારો થયો છે. યૂપીએ દ્વિતીય સરકારના અંતિમ બે વર્ષોમાં ઇન્દિરા આવાસ યોજના(IAY) હેઠળ એક વર્ષમાં માત્ર 10 લાખ ઘરોનું નિર્માણ થયું હતું. એની સરખામણીએ ગત નાણાંકીય વર્ષમાં સમગ્ર દેશમાં 28 લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2014 પછી નિર્માણ કામ પૂર્ણ થવાના દરમાં વૃદ્ધિ થઇ છે, PMAY શરૂ થયા બાદ નિર્માણ કામમાં પણ વૃદ્ધિ થઇ છે. જો કે, સરકારે પોતાનું પ્રદર્શન હજુ સુધારવાની જરૂર છે. જો વર્ષ 2019 સુધીમાં ગામડાઓમાં 1 કરોડ ઘર નિર્માણનો સરકારનો હેતુ હોય તો સરકારે દર વર્ષના ઘર નિર્માણ દરમાં વૃદ્ધિ કરવાની તાતી જરૂરિયાત છે.
શહેરી આવાસ
શહેરી ક્ષેત્રોમાં ક્રેડિટ લિંક સબસીડિ સ્કિમ(CLSS) અને RERA જેવી યોજનાઓ દ્વારા આવાસ ક્ષેત્રને પ્રોત્સાહન મળે એવી સંભાવના છે. આ વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનો સંબોધિત કરતાં CLSS યોજનાના વિસ્તારની જાહેરાત કરી હતી. સરકાર હવે 9 લાખ અને 12 લાખની લોન પર વ્યાજમાં ક્રમશઃ 4 ટકા અને 3 ટકા સુધીની છૂટ આપવાનો વાયદો કરી રહી છે. કેટલાક દાવાઓ અનુસાર, પ્રમુખ સાર્વજનિક બેંકો પાસેથી લોન લેનારા 2/3 લોકોને મદદ મળશે. આ યોજાનાનો હેતુ EWS(આર્થિક રીતે નબળા) અને LIG(નિમ્નતમ આવક સમૂહ) સ્તરના લોકોને તેમનું પોતાનું ઘર ફાળવવાનો છે. આ યોજનાના વિસ્તાર પહેલાં CLSS પ્રત્યેનો ઉત્સાહ ઓછો હતો અને લાભાર્થીઓની સંખ્યા પણ ઘણી ઓછી હતી. સરકારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, આ યોજના અંગેની જાણકારીના અભાવને કારણે સરકાર દ્વારા લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયો નિષ્ફળ ન જાય.
ફુગાવા પર નિયંત્રણ અને જન ધન ખાતાથી મળી સહાયતા
છેલ્લા ત્રણ વર્ષોમાં વ્યાજ દરમાં ઘટાડો થવાને કારણે ધિરાણના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ફુગાવાને નિયંત્રણમાં લેવામાં સરકારને સફળતા મળી છે, જેનો જનતાને પરોક્ષ લાભ મળ્યો છે અને વ્યાજના દરમાં ઘટાડો થયો છે. સસ્તા ધિરાણની સાથે જ ધિરાણની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ પ્રયત્નો થવા જોઇએ. જન ધન યોજનાથી બેંકોમાં પૈસા તો આવ્યા, પરંતુ હજુ એ નક્કી નથી કે આનાથી લોકોને ઘર કે વ્યક્તિગત હેતુ માટે લોન મળવામાં સરળતા રહેશે કે નહીં.
શહેરી ક્ષેત્રોમાં ઘર ખરીદવાવાળા લોકોની ચિંતાનું સૌથી મોટું કારણ અધૂરા પ્રોજેક્ટ્સ અને બિલ્ડર્સ દ્વારા કરવામાં આવતી ટાળમટોળ છે. ગ્રાહક પાસેથી પૂરી રકમ લીધા બાદ પણ ઘણા બિલ્ડર્સ સમય પર પોતાના પ્રોજેક્ટ પૂરા નથી કરી શકતાં અને સમય પર ઘર નથી આપી શકતાં. RERA એક્ટનો હેતુ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી લાવી આમાં પરિવર્તન લાવવનો છે, જેથી બિલ્ડર્સ જનતા પ્રત્યે વધુ જવાબદાર બને. કેન્દ્ર દ્વારા એક આદર્શ કાયદો પાસ કરવામાં આવ્યો છે, જેમાં અનેક રાજ્યો દ્વારા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, તમામ રાજ્યો આને મજબૂતાઇથી રજૂ કરે.
તારણ
શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં PMAYને સફળતાપૂર્વક લાગુ કરવાથી નિર્માણ ક્ષેત્રે રોજગારીની તકો વધશે. RERAના યોગ્ય અમલીકરણથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આદર્શ પરિવર્તન આવશે અને એનાથી ઉપભોક્તા અને બિલ્ડર્સ વચ્ચેનો અવિશ્વાસ દૂર થશે. સરકાર દ્વારા લોકોને ઘર ફાળવવાની આ એક સારી શરૂઆત છે, પરંતુ કોઇ પણ મોટું અનુમાન કરતાં પહેલાં આપણે આગલા નાણાંકીય વર્ષની રાહ જોવી જોઇએ.
(આ લેખના લેખક નિતિન મહેતા રણનીતિ કન્સલન્ટિંગ એન્ડ રિસર્ચમાં મેનેજિંગ પાર્ટનર છે અને પ્રણવ ગુપ્તા સ્વતંત્ર સંશોધનકાર છે.)