નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા BJP માટે કેમ માથાનો દુ:ખાવો?
નવી દિલ્હી, 16 ઓક્ટોબર : ભાજપને એક નવા પ્રભાવશાળી નેતાની શોધ છે અને નરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય નેતાને એક નવા પક્ષની શોધ છે. વાત અટપટી છે પણ લાંબુ વિચારીએ તો તેનો સાર આંખે ઉડીને વળગે એવો છે. હવે દિલ્હીના ગાદી માટેના મહાયુદ્ધને આડે માત્ર છ મહિના જેટલો ઓછો સમય રહ્યો છે ત્યારે હિન્દુત્વવાદી પાર્ટી કહેવાતી ભાજપાને એક નહીં અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે.
આ અંગે તાજેતરમાં આવેલા એક ન્યુઝ રિપોર્ટની વાત માનીએ તો ભાજપ અને સંઘ પરિવારે યુવા મતદારોના મન જાણવા માટે એક ખાસ સર્વે કરાવ્યો હતો. આ સર્વેના પરિણામોએ તેમની ચિંતાને હળવી કરવાને બદલે ચિંતા વધારવાનું કામ કર્યું છે. સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન મનમાં ઉદભવે કે સર્વેના એવા કેવા પરિણામો આવ્યા કે જે ભાજપ અને સંઘ બંને માટે ચિંતાનું કારણ બન્યા છે. લોકસભા ચૂંટણી 2014માં જો સારું પરિણામ મેળવવું હશે તો ભાજપે આ મુશ્કેલીનું સમાધાન કરવું જરૂરી છે...

ચિંતાનું કારણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કેમ?
આપને જણાવી દઇએ કે આ ખાનગી સર્વેનું બાદ બહાર આવેલા પરિણામો અને તેને પગલે વધેલી ચિંતા પાછળ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જવાબદાર છે.

સર્વેનું તારણ શું છે?
સર્વેક્ષણના તારણમાં એવું બહાર આવ્યું છે કે યુવાનોમાં નરેન્દ્ર મોદી ભારે લોકપ્રિય છે. પરંતુ આ યુવાનો એ નથી જાણતા કે નરેન્દ્ર મોદી કયા પક્ષ સાથે સંકળાયેલા છે અને તેનું ચૂંટણી ચિહ્ન કે પાર્ટી ચિહ્ન શું છે?.

પાર્ટીના અસ્તિત્વની ચિંતા
આ કારણે પાર્ટીના ટોચના નેતાઓને ચિંતા થઇ રહી છે કે હવે માત્ર નરેન્દ્ર મોદીનો પ્રચાર અને તેમની લોકપ્રિયતા વધારવાને બદલે પાર્ટીની ઓળખ અને અસ્તિત્વનો ભાસ થાય તે પ્રકારે રણનીતિ ઘડવી પડશે.

કોંગ્રેસ જેવી સ્થિતિ ભાજપમાં
જ્યારે પણ સંસદીય લોકશાહીની વાત કરીએ ત્યારે આ બાબત ખૂબ મહત્વની બની જાય છે. ભાજપ પક્ષ અત્યારે જે સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તેવી સ્થિતિમાંથી વર્ષ 1970માં કોંગ્રેસ પાર્ટી પસાર થઇ ચૂકી છે. તે સમયે નરેન્દ્ર મોદીની જેમ ઇન્દિરા ગાંધીનો જાદુ છવાયેલો હતો. જો કે અત્યાર સુધી પાર્ટી કરતા વ્યક્તિ વધારે મહત્વની હોય તે બાબત માત્ર કોંગ્રેસને લાગુ પડતી હતી. હવે આ સ્થિતિ ભાજપ માટે સર્જાઇ છે.

ભાજપને મોદીની લોકપ્રિયતાનો લાભ નહીં મળે?
હવે પાર્ટીને એ ચિંતા સતાવી રહી છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સૌથી વધારે છે પણ તેનો લાભ ચૂંટણીમાં મળે તેવી શક્યતા ઓછી થઇ રહી છે. કારણ કે લોકોને એ ખ્યાલ નથી કે નરેન્દ્ર મોદી ભાજપના નેતા છે જેનું પાર્ટી નિશાન કમળ છે. આથી જો લોકો કમળને મત નહીં આપે તો પાર્ટીને મોદીની લોકપ્રિયતાનો ફાયદો નહીં થાય.

કમળનો પ્રચાર કરો ભાઇ...
ભાજપને લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ માત્ર મતદાન કરો તેવી અપીલ કરવાને બદલે કમળને મત આપવો તેવો પ્રચાર કરવાની જરૂર છે. તો જ ભાજપને ચૂંટણીમાં સારા મત મળી શકશે. આ માટે કમળના ચિહ્નનો મહત્તમ પ્રચાર કરવાની જરૂર છે.

મોદી માટે પણ મુશ્કેલી
નરેન્દ્ર મોદી માટે પણ આ બાબત ચિંતા ઉપજાવી રહી છે. કારણ કે ભાજપ એટલે કમળને બદલે ભાજપ એટલે નરેન્દ્ર મોદી એવી નવી ઓળખ ઉભી થઇ રહી છે. જેના કારણે મતદારોને કમળને મત આપવા માટે કેવી રીતે પ્રેરવા તે મોટો પ્રશ્ન છે.












Click it and Unblock the Notifications
