ભારે વરસાદ બાદ હવે આ રાજ્યો ઉપર વાવાઝોડાનું સંકટ, એલર્ટ જારી કરાયું!
ભારતમાં કોરોના સંકટ વચ્ચે દરિયાકાંઠાના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે શનિવારે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશાના દક્ષિણ ભાગોમાં વાવાઝોડાની આગાહી કરતા એક સાયક્લોનની ચેતવણી જારી કરી છે.
ભારતમાં કોરોના સંકટ વચ્ચે દરિયાકાંઠાના રાજ્યો પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે શનિવારે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશાના દક્ષિણ ભાગોમાં વાવાઝોડાની આગાહી કરતા એક સાયક્લોનની ચેતવણી જારી કરી છે. આઇએમડીએ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે, આગામી 12 કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.
ગયા વર્ષે પણ વાવાઝોડાએ તબાહી મચાવી હતી
ગયા વર્ષે ભારતમાં સમુદ્રી ચક્રવાતોએ એક પછી એક દરિયાકાંઠે તબાહી મચાવી હતી. વર્ષ 2020 માં બંગાળની ખાડીએ ત્રણ ચક્રવાતી તોફાન ઉત્પન્ન કર્યા હતા, જ્યારે અરબી સમુદ્રમાં બે ચક્રવાતી તોફાન સર્જાયા હતા. હવે આ વર્ષે પણ ભારતીય હવામાન વિભાગે સાયક્લોન અંગે એલર્ટ જારી કર્યું છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા આ ચક્રવાતની અસર ઓડિશા અને આંધ્રપ્રદેશમાં થઈ શકે છે.
12 કલાક બાદ અસર દેખાશે
બંને રાજ્યોમાં ચક્રવાતની ચેતવણી જારી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચક્રવાતી તોફાન શનિવાર અને રવિવારે બે દિવસ રહેવાની સંભાવના છે અને સોમવારે તે નબળું પડશે. આઇએમડીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર હવાના દબાણને કારણે એક ડીપ ડિપ્રેશન સર્જાઇ રહ્યું છે, આગામી 12 કલાકમાં તે તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું 26 સપ્ટેમ્બરની પૂર્વસંધ્યાએ કલિંગપટ્ટનમની આસપાસ દક્ષિણ ઓડિશાના ઉત્તર કાંઠા સાથે ટકરાવાની સંભાનના છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
ચક્રવાતના ખતરાને જોતા હવામાન વિભાગે ઉત્તર આંધ્રપ્રદેશમાં સાયક્લોન એલર્ટ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીએ જણાવ્યું છે કે, શનિવાર અને રવિવારે તટીય આંધ્ર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે . આઉપરાંત ઉત્તર ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણામાં અલગ-અલગ સ્થળોએ પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
IMD ની આગાહી મુજબ, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ થવાની સંભાવના છે. આ દરમિયાન ભુવનેશ્વર હવામાન કેન્દ્રએ જણાવ્યું છે કે, વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ અને પછી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે અને રવિવારે સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે દક્ષિણ દિશામાં આગળ વધશે.