હૈદરાબાદ વિસ્ફોટઃ બે વખત કિસ્મતે આપ્યો સાથ, આવી ગયો શંકાના પરિઘમાં
હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ અનસુાર, દિલસુખનગર ખાતે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં બચી ગયેલા અબ્દુલ વસિફ મિર્ઝાને સારવાર અર્થે યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે હોસ્પિટલના સ્ટાફ તેને જોઇને ગયા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. તેના પર શંકા ઉપજવા પાછળનું કારણ એ છે કે, આ બન્ને સ્થળે જ્યારે પણ વિસ્ફોટ થયાં ત્યારે તે ત્યાં ઉપસ્થિત હતો, અને તેણે ટીવી ચેનલને જણાવ્યું હતું કે તે કાલપથનગરથી દિલસુખનગર ખાતે ચા પીવા માટે આવ્યો હતો, જ્યારે કાલપથનગરથી દિલસુખનગર સાત કિમી દૂર આવેલું છે.
પૂછપરછ માટે ગયેલી ટૂકડીમાના એક અધિકારીએ જણાવ્યું છે કે અમે હાલ કંઇપણ કહી શકીએ નહીં, બની શકે કદાચ એ તેમના માટે કામ કરતો હોય અથવા તો બની શકે કે તેમને મદદ કરતો હોય. મિર્ઝાને ગુરુવારે થયેલા વિસ્ફોટમાં ગંભીર ઇજા પહોંચી છે, 2007માં પણ જ્યારે વિસ્ફોટ થયો હતો ત્યારે તેને તેનો એક પગ ગુમાવવો પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા હૈદરાબાદ વિસ્ફોટ સંદર્ભે અન્ય છ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી એ વાત જાણવા મળી નથી કે તેમની ધરપકડ કરવામાં આવી છે કે નથી, એવી આશા રાખવામાં આવી રહી છે કે, દિલસુખનગર બસ જંક્શન પાસેના સીસીટીવી ફૂટેજથી મહત્વની કડી મળી રહેશે. જો કે, તે છેલ્લા ત્રણ મહિનાથી ખરાબ હતો અને વિસ્ફોટ થયા તેના કલાક પહેલા જ તેને રિપેર કરવામાં આવ્યો હતો.