હું નરેન્દ્ર મોદીને ઘર આપી શકું તેમ નથી : વેંકૈયા નાયડુ
નવી દિલ્હી, 29 મે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બીજી કેબિનેટ મીટિંગમાં શું નવા મંત્ર આપ્યા તે કહેવા માટે પ્રેસ સમક્ષ આવેલા સંસદીય કાર્ય મંત્રી વેંકૈયા નાયડુએ પત્રકારો સાથેની વાતચીતમાં અનેક મુદ્દે વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન સ્પીકર અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં વેંકૈયા નાયડુએ જણાવ્યું કે અમે કોઇને પણ ઝીરો કરી રહ્યા નથી. જો કે સ્પીકરની પોસ્ટ માટે ઇન્દોરની સાંસદ સુમિત્રા મહાજનનું નામ ચાલી રહ્યું છે. જો કે નાયડુએ કોઇ પણ પ્રકારનો સંકેત આપ્યો ન હતો.
એક અન્ય પ્રશ્ન કે નરેન્દ્ર મોદીને સાત રેસક્રોસ રોડ વાળા આવાસમાં ક્યારે શિફ્ટ કરશો, તે અંગે નાયડુનો જવાબ હતો કે શહેરી વિકાસ પ્રધાન તરીકે હું મંત્રીઓને તો ઘર ફાળવી શકું છું પણ વડાપ્રધાનને નહીં. આ તક ઝડપી લેતા તેમણે યુપીએ સરકારના પૂર્વ મંત્રીઓને વહેલીતકે સરકારી આવાસો ખાલી કરવા માટે વિનંતી પણ કરી હતી.
તેમણે જણાવ્યું કે હું પૂર્વની યુપીએ સરકારના મંત્રીઓને અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી ઘર ખાલી કરી દે. ત્યાર બાદ નવા મંત્રીઓ આ આવાસોમાં પોતાની રીતે ફેરબદલ કરાવશે.
વેંકૈયા નાયડુએ જણાવ્યું કે મોંઘવારી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. આ કારણે જ ગવર્નન્સ અને ડિલીવરીની વાત કરવામાં આવી રહી છે.